48 વર્ષની ઉંમરે શુભાંકર તોમરની વજનઘટાડાની પ્રેરણાદાયી સફર
રાજકોટના હિરાસર એરપોર્ટમાં ઓફિશિયલ લેંગ્વેજ સુપરવાઈઝર તરીકે સેવાઓ આપતા અને પૂર્વ વાયુ સેનિક તરીકે દેશસેવામાં યોગદાન આપનાર 48 વર્ષીય શુભાંકર તોમર આજે ઘણા લોકો માટે પ્રેરણા બની ગયા છે. નિવૃત્તિ પછી વધેલું વજન અને આરોગ્યની સમસ્યાઓએ તેમની જીવનશૈલીને મુશ્કેલ બનાવી દીધી હતી. 104 કિલો સુધી પહોંચેલા વજનને કારણે શ્વાસની તકલીફ, શરીરના સાંધામાં દુખાવો અને દવાઓ પરની નિર્ભરતાએ તેઓને આંતરિક રીતે હચમચાવી દીધા હતા. આ સ્થિતિએ તેમને પોતાને પ્રશ્ન કરાવ્યો અને ત્યાંથી શરૂ થયો તેમના જીવનમાં ફેરફાર લાવવાનો દૃઢ સંકલ્પ.
દોડ, યોગ અને શિસ્તબદ્ધ જીવનથી સફળતા
વહેલી સવારની દોડથી શરૂઆત કરનાર શુભાંકરભાઈ માટે શરૂઆતના દિવસો ખૂબ મુશ્કેલ હતા. 2 થી 3 કિલોમીટર દોડવામાં પણ થાક લાગી જતો હતો, પરંતુ સતત પ્રયત્નો અને મનોબળે તેમને આગળ ધપાવ્યા. સમય જતાં તેઓ 7 થી 8 કિલોમીટર નિયમિત દોડવા લાગ્યા. દોડ સાથે યોગ, પ્રાણાયામ, ધ્યાન અને દૈનિક વ્યાયામને તેમણે જીવનનો અગત્યનો ભાગ બનાવ્યો. આ શિસ્તના પરિણામે તેમનું વજન 104 થી ઘટીને 87 કિલો થયું છે. હવે તેઓ 80 કિલો સુધી પહોંચવાનું નવા લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છે.
મેરેથોનોથી મેડલ્સ સુધીની સિદ્ધિઓ
શુભાંકરભાઈએ અત્યાર સુધીમાં 100થી વધુ મેરેથોન, હાફ મેરેથોન અને સાયક્લિંગ ઇવેન્ટ્સમાં ભાગ લીધો છે. તેમના ઘરમાં મેડલ્સ અને પ્રમાણપત્રોના સંગ્રહે તેમની મહેનત અને સતત પ્રયત્નોની કહાની કહી દે છે. તેઓ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અને મેદસ્વિતા મુક્ત ભારત જેવા અભિયાનોમાંથી પ્રેરણા લઈને પોતાની ફિટનેસ યાત્રાને વધુ મજબૂત બનાવી રહ્યા છે. તેમની જીવનશૈલી ઘણા યુવાનો માટે ઉદાહરણરૂપ બની રહી છે.
સોશિયલ મીડિયા પરથી પ્રેરણા પામતા અનેક લોકો
દૈનિક દોડ, સાયક્લિંગ અને ફિટનેસ અપડેટ્સ તેઓ સોશિયલ મીડિયામાં શેર કરે છે. તેમની પોસ્ટ જોઈને અનેક યુવાનો તથા મિત્રો પણ વ્યાયામ તરફ આકર્ષાઈ રહ્યા છે. તેઓનો સ્પષ્ટ સંદેશ છે કે ઉંમર કદી અવરોધ નથી; મનોબળ અને નિયમિતતા સૌથી મોટી ચાવી છે. તેમના કહેવા મુજબ, શરીર તંદુરસ્ત રહે તો મન પણ સકારાત્મક અને બળવાન રહે છે.
સમાજ માટે જીવંત પ્રેરણાસ્ત્રોત
શુભાંકર તોમરની આ સફરે સાબિત કર્યું છે કે જીવનમાં પરિવર્તન લાવવા માટે ઉંમર, પરિસ્થિતિ કે પડકારો ક્યારે પણ અવરોધ બને નહીં. યોગ્ય સંકલ્પ અને મુશ્કેલીઓને પાર કરવાની હિંમત હોય તો દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ચમત્કાર સર્જી શકે છે. તેઓ આજે માત્ર પોતાની જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણાનો સ્ત્રોત બની ગયા છે.

