ત્રિશૂળથી તાંડવ સુધી, મોદીથી મહાદેવ સુધી: સોમનાથમાં ડ્રોન શોએ ઉજાગર કર્યો રાષ્ટ્રીય સ્વાભિમાન
સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીના ભાગરૂપે સોમનાથ મંદિરના સાનિધ્યમાં એક અત્યંત ભવ્ય અને આકર્ષક ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. અરબી સમુદ્રના કિનારે આકાશમાં અંદાજે ૩૦૦૦ જેટલા ડ્રોનના માધ્યમથી પ્રકાશનું અદભૂત સંયોજન રજૂ કરવામાં આવ્યું હતું. આ અનોખા પ્રયોગે પવિત્ર યાત્રાધામમાં એક ઉત્સવમય અને આનંદસભર માહોલ સર્જ્યો હતો. આકાશમાં ઊભરાતા આ પ્રકાશમય દ્રશ્યો સોમનાથ આવેલા હજારો શ્રદ્ધાળુઓ અને સ્થાનિક નાગરિકો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા.
ડ્રોન દ્વારા રજૂ થયો ભારતનો ભવ્ય વારસો
આ અદભૂત શોમાં ડ્રોન લાઈટના માધ્યમથી આકાશમાં ત્રિશૂળ, ઓમ અને તાંડવ નૃત્ય કરતા ભગવાન શંકરની આકૃતિઓ કંડારવામાં આવી હતી. આ ઉપરાંત ઇતિહાસના પાનાઓમાંથી વીર હમીરજી ગોહિલ અને અહલ્યાબાઈ હોલ્કરના ચિત્રો તેમજ સોમનાથ પર થયેલા આક્રમણની ગાથા પણ દર્શાવવામાં આવી હતી. લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વાભિમાન પર્વનો લોગો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચિત્રોએ આકાશમાં ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રીય અભિમાનનું જીવંત પ્રતિબિંબ પૂરું પાડ્યું હતું.
ટેકનોલોજી અને પરંપરાનો અનોખો સમન્વય
આ ભવ્ય ડ્રોન શોનું સંચાલન ૪૦ જેટલા પ્રશિક્ષિત ઓપરેટરોની ટીમ દ્વારા અત્યંત સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું. અંદાજે ૧૫ મિનિટ સુધી ચાલેલા આ ડિજિટલ શોએ ઉપસ્થિત તમામ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે સોમનાથ મંદિરના પટાંગણમાં હાજર રહીને આ અદભૂત દ્રશ્યો નિહાળ્યા હતા અને ટેકનોલોજી દ્વારા રજૂ થયેલા સાંસ્કૃતિક વારસાને બિરદાવ્યો હતો.
આતશબાજી સાથે આકાશ રંગબેરંગી બન્યું
ડ્રોન શોની પૂર્ણાહુતિ બાદ તરત જ સોમનાથના દરિયા કિનારે ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ પ્રકારના ફટાકડાઓના કારણે આખું આકાશ રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. ડ્રોન શો અને આતશબાજીના આ સુમેળભર્યા સંગમે શ્રદ્ધાળુઓના હૃદયમાં ગૌરવ અને આનંદની લાગણી જન્માવી હતી. સોમનાથ મંદિરના ઇતિહાસમાં આ એક યાદગાર રાત્રિ બની રહી હતી જેણે આધુનિક ટેકનોલોજીના માધ્યમથી સનાતન ધર્મની શક્તિનો પરિચય કરાવ્યો હતો.


