પ્રસાદથી પર્યાવરણ સુધી, સોમનાથમાં મહિલા શક્તિએ સંભાળ્યો સંચાલનનો મોટો ભાર
ભારતનું સુપ્રસિદ્ધ સોમનાથ જ્યોતિર્લિંગ હવે માત્ર આસ્થાનું કેન્દ્ર જ નથી રહ્યું પરંતુ તે નારી સશક્તિકરણનું પણ એક મોટું માધ્યમ બન્યું છે. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે એક ખાસ અભિગમ અપનાવવામાં આવ્યો છે જેનાથી સેંકડો પરિવારોમાં આર્થિક ઉજાસ પથરાયો છે. ટ્રસ્ટની આ સમાવેશી વિચારધારાને કારણે આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરુષોની ખભેખભા મિલાવીને પોતાની ફરજ નિભાવી રહી છે.
રોજગારીની તકો સાથે મહિલાઓનો દબદબો
સોમનાથ ટ્રસ્ટમાં અત્યારે કુલ 906 કર્મચારીઓ પોતાની સેવા આપી રહ્યા છે જેમાંથી 262 જેટલી મહિલાઓ વિવિધ હોદ્દાઓ પર કાર્યરત છે. આ આંકડો દર્શાવે છે કે મંદિરના વ્યવસ્થાપનમાં સ્ત્રી શક્તિનો કેટલો મોટો ફાળો રહ્યો છે. વહીવટી કામગીરીથી લઈને સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા સુધીની તમામ જવાબદારીઓ મહિલાઓ ખૂબ જ નિષ્ઠા અને શિસ્તબદ્ધ રીતે નિભાવી રહી છે જે અન્ય સંસ્થાઓ માટે પણ એક પ્રેરણારૂપ કિસ્સો છે.
બિલ્વ વનનું સંચાલન હવે સન્નારીઓના હાથમાં
મંદિર પરિસરમાં આવેલું પવિત્ર બિલ્વ વન સંપૂર્ણપણે મહિલા કર્મચારીઓ દ્વારા જ સંભાળવામાં આવે છે જે એક ગૌરવ લેવા જેવી બાબત છે. અહીં કામ કરતી 16 જેટલી મહિલાઓ પર્યાવરણના જતન સાથે મંદિરની પવિત્રતા જાળવવાનું પણ કામ કરે છે. ગ્રીનરીની દેખભાળ અને સ્વચ્છતાના કાર્યોમાં મહિલાઓની કુશળતા દેખાઈ આવે છે અને તેમના શિસ્તબદ્ધ સંચાલનને કારણે જ આ વન આજે શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.
રસોડાથી પ્રસાદ વિતરણ સુધી સેવાનો યજ્ઞ
શ્રદ્ધાળુઓ માટે ચાલતા ભોજનાલયમાં 30 મહિલાઓ પ્રેમ અને સેવાભાવથી ભોજન પીરસી રહી છે જ્યારે પ્રસાદ વિતરણના મહત્વના કાર્યમાં 65 મહિલાઓ જોડાયેલી છે. આ મહિલાઓ માત્ર નોકરી જ નથી કરતી પરંતુ શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી હોવાથી પૂરા સમર્પણ સાથે પોતાની જવાબદારી પૂર્ણ કરે છે. સોમનાથ આવતા હજારો યાત્રીઓ માટે આ બહેનો એક આદર્શ વ્યવસ્થાપન પૂરું પાડી રહી છે જે કાબિલે તારીફ છે.
આર્થિક આઝાદી અને વાર્ષિક કરોડોની કમાણી
સોમનાથ મંદિરના માધ્યમથી કુલ 363 મહિલાઓ સીધી રીતે રોજગારી મેળવી રહી છે અને તેઓ વાર્ષિક અંદાજે 9 કરોડ રૂપિયા જેટલી માતબર આવક મેળવે છે. આ આર્થિક પગભરતાને કારણે તેમના જીવનધોરણમાં મોટો સુધારો જોવા મળ્યો છે. આધ્યાત્મિક ધામ જ્યારે સામાજિક જવાબદારી સ્વીકારીને આ રીતે રોજગારીની તકો ઊભી કરે છે ત્યારે તે સાચા અર્થમાં દેશના વિકાસમાં પોતાનો અમૂલ્ય ફાળો આપે છે તેમ કહી શકાય.

