વર્લ્ડ કપ પહેલા વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. અનુભવી કેપ્ટન અને ખેલાડી ઈજાના કારણે વન-ડે વર્લ્ડ કપમાંથી લગભગ બહાર થઈ ગયો છે. આ બેટર IPL 2023 દરમિયાન જ ઘાયલ થયો હતો. ICC ટ્રોફીની મેચો ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાવાની છે. ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમ્સન IPLની 16મી સીઝનમાં ગુજરાત ટાઇટન્સનો ભાગ હતો, પરંતુ ચેન્નઈ સુપર કિંગ્સ સામે પ્રથમ મેચમાં કેચ લેવાનો પ્રયાસ કરતી વખતે તે પહેલેથી જ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. હવે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે વિલિયમ્સનની ઈજાને લઈને મોટું અપડેટ આપ્યું છે.
32 વર્ષીય કેન વિલિયમ્સન ન્યુઝીલેન્ડની વનડે ટીમનો કેપ્ટન છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 40 સદી પણ ફટકારી છે. ક્રિકેટ ન્યૂઝીલેન્ડે જણાવ્યું કે, કેન વિલિયમ્સનને જમણા ઘૂંટણની સર્જરી કરાવવી પડશે. મંગળવારે સ્કેન કર્યા બાદ સામે આવ્યું છે કે IPL દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે તેનું લિગામેન્ટ ફાટી ગયું હતું. આવી સ્થિતિમાં આ પછીના રિહેબને જોતા તેના માટે વર્લ્ડ કપમાં રમવું મુશ્કેલ છે. વિલિયમ્સને ટેસ્ટમાં 28 અને વનડેમાં 13 સદી ફટકારી છે.
કેન વિલિયમ્સનની સર્જરી આગામી 3 અઠવાડિયામાં થઈ શકે છે. તેણે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં મને ઘણો સપોર્ટ મળ્યો છે. આ માટે હું ગુજરાત ટાઇટન્સ અને ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બંનેનો આભાર માનું છું. જો કે આવી ઈજા થવી નિરાશાજનક છે. પરંતુ હવે મારું ધ્યાન સર્જરી અને વાપસી પર છે. તેમાં થોડો સમય લાગશે, પરંતુ હું શક્ય તેટલી વહેલી તકે મેદાન પર પાછા ફરવા માટે બધું કરવા તૈયાર છું.
જોકે વિલિયમ્સન માટે વર્લ્ડ કપમાં રમવું મુશ્કેલ છે. આ અંગે કેન વિલિયમ્સને કહ્યું કે હું આગામી કેટલાક મહિનામાં ગેરી અને ટીમને સપોર્ટ કરવા માટે જે પણ કરી શકું તે કરવા આતુર છું. ન્યૂઝીલેન્ડે 2019માં ODI વર્લ્ડ કપની ફાઈનલ સુધીનો પ્રવાસ ખેડ્યો હતો. મેચ ટાઈ થયા બાદ ઈંગ્લેન્ડે તેને બાઉન્ડ્રી કાઉન્ટના નિયમથી હરાવ્યો હતો. દરમિયાન ગુજરાત ટાઇટન્સે વિલિયમ્સનના સ્થાને શ્રીલંકાના દાસુન શનાકાનો સમાવેશ કર્યો છે.