સુરત : અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા આજે સ્વામિ વિવેકાનંદની જયંતિ રાષ્ટ્રીય યુવા દિવસની બે અલગ અલગ પ્રકારની પ્રવૃતિઓ સાથે ઉજવણી કરી હતી. જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આદિવાસી ખેલાડીઓ વચ્ચે વોલીબોલ ટુર્નામેંટ યોજી અને રાજ્યકક્ષા કે આગળ રમેલા ખેલાડીઓનું સન્માન કર્યું હતું. જ્યારે ઉત્થાન પ્રકલ્પ અંતર્ગત અંતર્ગત ઓલપાડ અને ચોર્યાસી તાલુકોની કુલ 25 સરકારી પ્રાથમિક શાળાઓના 2946 વિદ્યાર્થીઓ સાથે યુવા દિવસની ઉજવાની કરવામાં આવી હતી.
આદિવાસી યુવાનોમાં ગ્રામીણ રમતને પ્રોત્સાહિત કરવા માટે,અદાણી ફાઉન્ડેશન, હજીરાએ વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની રમતોમાં સ્થાન મેળવનાર ઉમરપાડા તાલુકાના 15 જેટલા ખેલાડીઓને શોધીને એમને આજે ઉમરપાડા તાલુકાનાં ચોખવાડા ખાતે યોજાયેલી વોલીબોલ ટુર્નામેંટ વખતે હાજર મહાનુભાવોના હસ્તે સ્મૃતિ ચિહ્ન આપીને સન્માન કરવામાં આવ્યું હતું. વોલીબોલ ટૂર્નામેંટમાં ઉમરપાડા તાલુકાની ૧૬ ટીમોના કુલ 160 ખેલાડીઓએ ભાગ લીધો છે. ફાઈનલમાં ચોખવાડાની ટીમ ટુર્નામેન્ટની વિજેતા બની હતી. વોલીબોલ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ટીમને અદાણી ફાઉન્ડેશન હજીરા, સુરત દ્વારા વોલીબોલ ની કીટ આપવામાં આવી હતી.
ઉત્થાન પ્રોજેક્ટ દ્વારા આ દિવસને કંઈક વિશેષ સંદેશ સાથે ઉજવવામાં આવ્યો હતો, જેમાં સરકારી પ્રાથમિક શાળા, મોરાના ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓ માટે એક સ્વ-જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું શીર્ષક હતું “કિશોરાવસ્થા: મુઝવણ અને ઉકેલ”. આ કાર્યક્રમમાં કિશોર અવસ્થાના નિષ્ણાંત, ડૉ. લતીકા શાહ દ્વારા અનુભવો અને જ્ઞાન બાળકો સાથે વહેંચવામાં આવ્યા. જેમાં ધોરણ 6 થી 8 ના 200 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સાથે જ તમામ શાળામાં સ્વામી વિવેકાનાંદજી ના જીવન કવન આધારિત નાટક ભજવવામાં આવ્યું તેમજ જીવન પર આધારિત ફિલ્મ દર્શાવવામાં આવી. વિવેકાનંદ દ્વારા અપાયેલા સૂત્રોનો ચાર્ટ તૈયાર કરી તેનું પ્રદર્શન યોજવામાં આવ્યું. વિવેકાનંદનો પરિવેશ ધારણ, વિવિધ પોસ્ટર બનાવવા, જેવી વિવિધ અન્ય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ઉજવણીનો હેતુ, આવતીકાલના યુવાનોને સમજદાર અને જવાબદાર નાગરિક બનાવવા માટે પાયો નાખવાનો હતો. આમ યુવા દિવસની ઉજવણી એ વિદ્યાર્થીઓ માટે જીવન પ્રેરક ઘટના બની હતી.