બાગેશ્વર ધામના જાણીતા યુવા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વરની ગુજરાતની મુલાકાતે આવી રહયા છે ત્યારે તેઓ ચર્ચાનો મુદો બન્યા છે અને કેટલાક લોકોને બાબા પસંદ નથી અને વિરોધ કરવા ઉપર ઉતરી પડ્યા છે ત્યારે આજે સુરત ખાતે આવેલા ગુજરાતના પૂર્વ CM શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે,’ધર્મના નામે ધતિંગ કરતાં આ બાબા બીજેપીનું માર્કેટિંગ કરે છે.’ જોકે તેઓના આ નિવેદન સામે ભાજપના પ્રવકતા યજ્ઞેશ દવેએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, ભાજપે બાબાના કાર્યક્રમનું આયોજન નથી કર્યું.
શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે ભાજપે ગુજરાતમાં ધર્મના નામે આ પ્રકારના નાટક બંધ કરી દેવા જોઈએ. ભારતીય જનતા પાર્ટી દ્વારા આ રીતે ભગવાધારીનો દુરુપયોગ કરવામાં આવે છે અને ચમત્કારના નામે ખોટાં નાટક કરવામાં આવે છે. આ પ્રકારની વાહિયાત વાતોનો કોઈ અવકાશ નથી. આવા બધા બાબાઓના જે ભક્તો હોય તેને આગળ જતાં ઘણું બધું ભોગવવું પડે છે.
રાજકારણમાં આ બધું યોગ્ય નથી
બીજી તરફ શંકરસિંહ વાઘેલાના આ નિવેદનનો જવાબ આપતા ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે શંકરસિંહને કોઈએ ગેરમાર્ગે દોર્યા છે. તેઓ પોતે ભૂતકાળમાં હિન્દુવાદી આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા.
તેઓએ પ્રથમ તો એ સમજી લેવું જરૂરી છે કે ભારતીય જનતા પાર્ટી એ સનાતન ધર્મ સાથે જોડાયેલો પક્ષ છે. જેથી કોઈ પણ ધર્મના લોકોની લાગણી દુભાઈ તેવાં કામ ન કરે એટલે સનાતન ધર્મની વાત આવે ત્યારે પક્ષાપક્ષીની વાત નથી આવતી. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કોઈ તંત્ર-મંત્ર સાથે જોડાયેલા વ્યક્તિ નથી. તેઓ કોઈપણ પ્રકારના ચમત્કાર નથી કરતા. તેમની જે સભા થતી હોય તેમાં જવા માટે કોઈપણ પ્રકારની ફી વસૂલવામાં નથી આવતી. નાણાં લેવામાં આવતાં નથી.
આમ,યજ્ઞેશ દવેએ શંકરસિંહના નિવેદનનો વિરોધ કર્યો હતો.