સુરતમાં જીવનજયોત ખાડીમાં છોડાઈ રહેલા કેમિકલ યુક્ત ગંદા પાણી મામલે જીપીસીબી દ્વારા હજુપણ તપાસ થતી નથી અને જવાબદાર કોણ તે મામલો હજુપણ અધ્ધર લટકેલો છે ત્યારે બીજી તરફ સચિન જીઆઇડીસીમાં જીપીસીબી દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હોવાની માહિતી મળી છે.
પ્લોટ નં 821માં આવેલા પ્રખર એસ્ટેટ પ્રા. કંપનીમાં તપાસ દરમિયાન ગંદુ પાણી સીધુ કાન્સમાં છોડવામાં આવતું હોવાનું તપાસમાં ખુલ્યું છે.
એમવીઆર એફ્લુઅન્ટ ફીડ કલેક્શન ટાંકીની નજીક ફ્લેક્સિબલ પાઇપલાઇન મળી આવી હતી અને એફ્લુઅન્ટ સ્ટોક આ ભૂગર્ભ સંગ્રહ ટાંકીમાં જોવા મળ્યો હતો.
ટાંકીમાંથી ગંદુ પાણી જીઆઇડીસીના કાન્સમાં પાણી છોડવામાં આવતું હતું. આ અંગેનો રિપોર્ટ રજૂ કર્યા બાદ સુરત જીપીસીબી દ્વારા ક્લોઝર નોટીસ આપીને ઔદ્યોગિક પ્લાન્ટની કામગીરી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તેમજ કેપ્ટિવ પાવર પ્લાન્ટ અને કોઈપણ પ્રકારની ઉત્પાદન પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવો આવ્યો છે. આ ઉપરાંત તાત્કાલિક અસરથી વીજળીનો પુરવઠો બંધ કરવા નિર્દેશ આપવા આવ્યો છે.
સુરતમાં પાંડેસરાના સીઈટીપી પ્લાન્ટ નજીકમાં આવેલી જીવન જ્યોત ખાડીમાં ખુલ્લેઆમ ટ્રીટ કર્યા વગર ઝેરી પાણી છોડવામાં આવી રહ્યું હોવા મામલે સત્યડે માં અવાર નવાર અહેવાલો આવ્યા બાદ અને લેખિત રજુઆત બાદ પણ હજુ સુધી કડક પગલાં ભરવામાં નહીં આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.