રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓમાં અગાઉ અનેક વખત ગેરરીતિ બહાર આવી ચૂકી છે ત્યારે ફરી એકવાર ગેરરીતિનો મામલો સામે આવ્યો છે.
રાજ્ય સરકારની વીજ કંપનીઓ દ્વારા જે પ્રકારે ઓનલાઇન પરીક્ષા લેવામાં આવી રહી હતી એમાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી વાતનો ખુલાસો થયો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચને મળેલી માહિતી મુજબ, તપાસ કરતાં કેટલાક શખસોએ ટોળકી બનાવીને આખું કૌભાંડ આચાર્યું હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચને શંકા જતા કેટલાક આરોપીઓ ઉપર વોચ રાખીને તેમને ઝડપી પાડવામાં આવ્યા છે.
સુરતમાં પરીક્ષા કેન્દ્રથી અન્ય કોઈ વ્યક્તિ ઓનલાઇન પ્રશ્ન પત્ર ભરતો જ્યારે આરોપી એક જ CPUથી બે મોનીટર ઓપરેટ કરતા હતા.
આ સમગ્ર પ્રક્રિયામાં મોનીટર ઓપરેટ કરવા સોફ્ટવેરનો ઉપયોગ કરાતો હતો.
આ સમગ્ર પ્રક્રિયામાં સારથી એકેડેમીના માલિકની સંડોવણી સામે આવી છે.
અત્યારસુધીમાં મળતી માહિતી મુજબ કેટલાક એજન્ટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ઉમેદવારોને પરીક્ષા પાસ કરાવવામાં આવી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. જોકે ઊંડાણપૂર્વકની તપાસ કરવાની બાકી છે. પૂછપરછ કરવામાં આવશે અને તપાસ પણ કરવામાં આવશે. આ સમગ્ર કૌભાંડમાં 2 લોકો ની ધરપકડ કરાઈ છે અને 11 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.
ક્રાઈમ બ્રાન્ચના DCP રૂપલ સોલંકી પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું છે કે, સુરત ક્રાઈમ બ્રાન્ચના PI ફરિયાદી બન્યા છે. ઈન્દ્રવદન પરમાર, ઓવેશ કાપડિયાની ધરપકડ કરવામાં આવી છે. વીજ કંપનીની ઓનલાઈન પરીક્ષામાં ગેરરીતિમાં કુલ 11 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. આ પરીક્ષા વર્ષ 2022-2021માં યોજાઈ હતી. પરીક્ષા રાજ્યના વિવિધ સેન્ટરોમાં લેવાઈ હતી. માત્ર સુરત જ નહીં અમદાવાદ, વડોદરામાં પણ ગેરરીતિ આચરવામાં આવી હતી. બે પરીક્ષા કેન્દ્રોમાં ગેરરીતી આચરવામાં આવી હતી.
આ કેસમાં અનિકેત ભટ્ટ અને ભાસ્કર ચૌધરી હજુ વોન્ટેડ છે. તેઓ ઉમેદવારોનો અગાઉથી જ સંપર્ક કરી લેતા હતા. આ ટોળકીએ કયા કયા લાભાર્થીઓનો સંપર્ક કર્યો તેની તપાસ ચાલુ છે.