રાજ્યમાં દક્ષિણ ગુજરાતના સુરતમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો આવતા ભારે ગભરાટ ફેલાયો હતો.
મોડી રાત્રે 1 કલાકે આવેલા ભૂકંપની તિવ્રતા 3.8ની નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ સુરતથી 27 કિમી દૂર દરિયામાં નોંધાયું હતું.
હાલ તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપમાં ભારે તારાજી થઈ છે ત્યારે લોકો ભૂકંપના નામ માત્રથી ફફડી રહયા છે તેવે સમયે સુરતમાં આવેલા ભૂકંપના આંચકાને પગલે શહેરીજનોમાં ભય અને ચર્ચાનો માહોલ જોવા મળ્યો હતો. જોકે સદનશીબે ભૂકંપને કારણે કોઈ નુકશાનના અહેવાલ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે હજુ એક દિવસ અગાઉ જ કચ્છના ભચાઉમાં પણ ભૂકંપના આંચકા આવ્યા હતા જેની તિવ્રતા 3.0 નોંધાઈ હતી.
ઉપરાંત અમરેલી જિલ્લામાં પણ ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
ગુજરાતમાં આ મહિનામાં જ 11 દિવસમાં 8 ભૂકંપના આંચકા અનુભવાયા છે,જેમાં સૌથી વધુ સુરતમાં આજે રાત્રે 3.8ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. જ્યારે આ પહેલા 3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્ર-કચ્છમાં આંચકા આવી રહ્યા છે પણ આ પહેલો આંચકો દક્ષિણ ગુજરાતમાં સુરતમાં આવતા રાજ્યમાં ભૂકંપ ને લઈ લોકો ફફડી ઉઠ્યા છે.