સુરત માં છેલ્લા 24 કલાક દરમ્યાન દર 36 સેકન્ડમાં એક કેસ કોરોના પોઝિટિવ નોંધાઇ રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે. ગતરોજ શહેર માં 1929 અને જિલ્લામાં 496 કેસ સાથે કુલ 2425 કોરોના કેસ નોંધાયા હતાં તેમજ 28 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે, સિવિલ હોસ્પિટલમાંથી 56 અને સ્મીમેર હોસ્પિટલમાંથી 26 વ્યક્તિ મળી 82 વ્યક્તિના મૃતદેહોની કોવિડ પ્રોટોકોલ મુજબ અંતિમ વિધી કરવામાં આવી હોવાના મીડિયા રિપોટ્સ નો દાવો છે. સતત વધી રહેલા પોઝિટિવ કેસને પગલે એક્ટિવ કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. રવિવારે શહેર-જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 12728 થઈ ગઈ છે.
શહેરની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં મળી કુલ 1322 દર્દીઓ ગંભીર હાલતમાં સારવાર લઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં રવિવારે 703 દર્દીઓ ઓક્સિજન પર, 263 દર્દી બાયપેપ પર અને 13 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યા છે. સ્મીમેર હોસ્પિટલમાં 211 દર્દી ઓક્સિજન પર, 120 દર્દી બાયપેપ પર અને 12 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસથી 1500થી વધુ કેસ આવતા કુલ કેસોની સંખ્યા 87,876 થઇ ગઇ છે, જ્યારે કુલ મૃતાંક 1458 પર પહોંચ્યો છે. રવિવારે શહેરમાંથી 635 અને જિલ્લામાંથી 199 મળી 834 દર્દીઓને રજા મળી હતી. રવિવારે ઉધનાના ધારાસભ્ય વિવેક પટેલ પણ સંક્રમિત થયા હતાં.
સુરત માં મનપા દ્વારા સરથાણા કોમ્યુનિટી હોલ ખાતે 93 બેડની ઓક્સિજનની સુવિદ્યા સાથેનું કોવિડ હેલ્થ સેન્ટર શરૂ કર્યું છે. જેનું રવિવારે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જ્યારે તાજેતરમા સુરતમાં સમાવિષ્ટ થયેલા કઠોદરામાં આવેલા જ્ઞાનદીપ વિદ્યાસંકુલમાં જ સ્કૂલના સહયોગથી 20 બેડનું કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આમ સુરત માં કોરોના ની સ્થિતિ વિકટ બની રહી છે.