સુરતમાં ઢોર પકડવાની કામગીરી સામે હવે માલધારી સમાજ અને મહાનગરપાલિકા વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે હવે માલધારી સમાજના નેતાઓ એ ભાજપ માંથી રાજીનામાં આપતા મામલો ગરમાયો છે.
માલધારી સમાજનું કહેવું છે કે હાઇકોર્ટના આદેશ મુજબ રોડ ઉપર રખડતા ઢોરો પકડવાનું છે પરંતુ જે તબેલાઓમાં પશુઓ છે. તેને ઊંચકી જવા એ કેટલા યોગ્ય છે.
આ મુદ્દે કેટલાક હોદ્દેદારોએ ભાજપમાંથી રાજીનામા આપ્યા છે.
સુરતના કતારગામના વોર્ડ નંબર 8 ના યુવા મોરચાના મંત્રી મિલન દેસાઈએ જણાવ્યું કે હું મારા સમાજના પડખે છું અને સમાજના હિતમાં હું ભાજપના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપું છું.
તેઓએ કહ્યું કે અમારા તબેલા ગેરકાયદેસર નથી પરંતુ અમે 1985થી અહીં રહીએ છીએ તે તમામ તબેલા કાયદેસર છે.
અશ્વિન રબારીએ પણ રાજીનામું આપતા જણાવ્યું કે હું કતારગામ વિધાનસભામાં સોશિયલ મીડિયામાં સહાય ઇન્ચાર્જ તરીકે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો હતો પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી જે રીતે અમારા સમાજ સાથે અન્યાય થતો હોય હોય આજે મારા તમામ ભાજપના હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું છે મેં આ બાબતે મહામંત્રીને પણ સોશિયલ મીડિયામાં ટ્વિટ કરીને કહીં દીધું છે.
જ્યારે કતારગામ વિસ્તારની બાલાજી સોસાયટીના મંત્રી તરીકે રાજુભાઈ રબારીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અમારા કાયદેસરના તબેલાઓમાંથી પણ અમારા પશુઓને લઈ જવાનું કામ શાસકો કરી રહ્યા છે જે યોગ્ય નથી. રખડતા ઢોરોને પકડવા જોઈએ અને એમાં અમે કોર્પોરેશનને સહકાર પણ આપીએ છીએ પરંતુ આ તો કેવી મનમાની કે અમારા બાંધેલા પશુઓને પણ હાઇકોર્ટના હુકમની આડમાં ઊંચકી જવામાં આવી રહ્યા છે જે ચલાવી લેવાય નહિ.
આમ, પશુઓ પકડવા બાબતે હવે સમાજના આગેવાનો રાજીનામાં આપી રહયા છે.