સુરતમાં હવે ટ્રાફિક પોલીસ દ્વારા વન નેશન વન ચલણનો અમલ શરુ થઈ ગયો છે અને આધુનિક ટેકનોલોજીના માધ્યમથી મેમો આપવાનું કામ શરૂ થઈ ગયું છે.
વાહન ચાલક અને પોલીસ વચ્ચે ટ્રાફિકના નિયમના ઉલ્લંધન વખતે જ્યારે મેમો ફટકારવામાં આવે છે ત્યારે ઘર્ષણ કે બોલાચાલી થાય છે અને લોકો એકઠા થાય છે તેમજ તમાશો ઉભો થતો હોય છે પરંતુ હવે સુરતમાં વાહન ચાલકોને સીધા ઈ-મેમો ચલણ અપાશે,જેમાં વન નેશન વન ચલણનો અમલ સુરત શહેરમાં શરુ થઇ ગયો છે અને ટ્રાફિકના નિયમનો ભંગ કરાશે તો ઈ મેમાની જાણ સીધા એસ.એમ.એસ.દ્વારા થઈ જશે.
આ અંગે માહિતી આપતા સુરત શહેર ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ મીડિયાને જણાવ્યું હતું કે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા વન નેશન વન ચલણનો અમલીકરણ ગુજરાત રાજ્ય સરકારના આદેશ મુજબ તા. 16 જાન્યુઆરી 2023થી કરવામાં આવી રહ્યો છે. વન નેશન ચલણના લીધે વાહનચાલકો અને જે ટ્રાફિક પોલીસનો અવારનવાર જે ઘર્ષણના બનાવો બનતા હતા એ ટાળી શકાશે. એક ટેકનોલોજીના માધ્યમથી કેશલેસ અને પેપરલેસમાં કનવર્ટ ધીરે ધીરે ટ્રાફિક શાખા થઈ રહી છે.
વન નેશન વન ચલણના પ્રોજેક્ટના અમલીકરણ બાદ હવે તમામ હેડના ટ્રાફિકના નિયમો જે વાહન ચાલકો પાલન નહીં કરતા હોય તેમના વિરુદ્ધ ઈ ચલણ જનરેટ કરવામાં આવશે.