સુરત-નવસારી હદ વિસ્તારમાં સબંધિત વિભાગની મહેરબાનીથી ખુલ્લેઆમ ગેરકાયદેસર ઇંટના ભઠ્ઠાઓ ધમધમી રહયા છે અને કછોલી, કપ્લેથા અને લાજપોર નજીકના વિસ્તાર સહિત ડાભેલ, આસણા અને ચોખડ ગામ વિસ્તારમાં ચાલી રહેલા ગેરકાયદે ઈંટના ભઠ્ઠાઓ સામે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, ભૂસ્તર વિભાગ, ખાણ ખનિજ વિભાગ અને મહેસૂલ વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ પગલાં ભરવામાં નહી આવતા તંત્ર સામે સવાલો ઉઠવા પામ્યા છે.
નઝીર અને ભૂરા શેઠનો છોકરો કાસીમ સહિતના કેટલાક ઈસમો બિન્દાસ્ત ધંધો કરી રહયા છે અને તંત્ર તેઓ સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે.
ગેરકાયદે ચાલી રહેલા ભઠ્ઠાઓમાં ઈંટ પકવવા માટે પોલાસ્ટિક સહીત ઝેરી કેમિકલનો ઉપયોગ થતાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે.
આ વિસ્તારમાંખેતીની જમીનનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે.
સાથેજ મોટા પાયે ગેરકાયદે રીતે માટી ખનન પણ થઈ રહ્યુ છે પરિણામે ખેતી લાયક જમીનનો સોથ વળી રહ્યો છે અને જ્યાં જુઓ ત્યાં મોટા મોટા ખાડાઓ પાડી જમીનોનું નિકંદન કાઢવામાં આવી રહ્યુ છે.
આ ભટ્ટા માલિકો સ્થાનિક ખેડૂતોને યેનકેન પ્રકારે ફોસલાવી એમની ફળદ્રુપ ખેતીની જમીન ઈંટના ભઠ્ઠા માટે ભાડા પટ્ટે લખાવી લે છે અને સામાન્ય ભાડામાં મેળવેલ આ ખેતીની જમીનમાં ટૂંકા ગાળામાં ઈંટોનો ભઠ્ઠો શરુ કરી દેતા હોય છે.
આવા ભઠ્ઠા પર ઈંટ પકાવવા માટે જલદ કેમિકલ સહીત ટાયર, કોલસી જેવી હાનિકારક ચીજવસ્તુઓના પણ વપરાશ કરવામાં આવે છે એના કારણે વાતાવરણ પ્રદૂષિત થઇ રહ્યું છે. આવા ઈંટના ભટ્ટા માલિકો તમામ નીતિ નિયમો નેવે પર મૂકી પોતાના ધંધો જોરશોરથી બિન્દાસ રીતે આગળ વધારી રહયા છે.
ઇંટના ભઠ્ઠાઓના માલિકો બિન્દાસ્ત રીતે જોખમી કેમિકલનો ઉપયોગ કરી જળ, જમીન અને વાયુમાં પ્રદુષણ ફેલાવી રહ્યા હોય આસપાસના વિસ્તારોમાં ભારે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે.
બિન્દાસ રીતે ચાલી રહેલા ઈંટના ભઠ્ઠા બંધ કરાવવા માટે કોઈ વિભાગને રસ નહિ હોવાથી હવે અધિકારીઓ સામે મિલીભગતની અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે.
વાત એવી પણ જાણવા મળી છે કે આ પહેલા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ નવસારીના અધિકારીઓની ઇંટના ભઠ્ઠાની સ્થળ તપાસ બાદ નોટિસ પણ આપી પણ આ ઇંટના ભઠ્ઠાવાળાઓ નોટિસને ઘોળીને પી ગયા હોય તેવી હાસ્યાસ્પદ સ્થિતિ સર્જાઈ હોવાનું કહેવાય છે.
હવે આવા ગેરકાયદે ઈંટના ભઠ્ઠા સામે પ્રાંત અધિકારી તપાસ કરાવી સપાટો બોલાવી દંડનીય કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.