સુરતમાં કોરોના ભયંકર રૂપ પકડી રહ્યું છે તે જોતા હવે કોરોના ને આગળ પ્રસરતો અટકાવવા માટે ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસો.એ આજે 200 કાપડ માર્કેટો અને 80 હજાર કાપડના વેપારીઓ વતી મુખ્યમંત્રી વિજય રૂપાણી, કલેક્ટર ડૉ. ધવલ પટેલ અને પાલિકા કમિશનર ને લેખીત રજુઆત કરી કોરોના સંક્રમણ વધુ સ્પ્રેડ થતું અટકાવવા 7 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરવાની માગ કરી છે. પત્રમાં જણાવાયું છે કે અત્યારે સુરતમાં 30 એપ્રિલ સુધી વીકેન્ડમાં બે દિવસ સ્વૈચ્છિક કાપડ માર્કેટો બંધ રખાય છે. માત્ર કાપડ માર્કેટ બંધ રાખવાથી સુરતમાં કોરોના સંક્રમણ પર કાબૂ મેળવી શકાશે નહી પણ હજુવધુ અઠવાડિયા નું લોકડાઉન જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની અપીલને પગલે શહેરના કાપડ માર્કેટ, હીરાબજાર, સેફ ડિપોઝિટ વોલ્ટ અને વીવિંગ ઉદ્યોગ સહિત 150 સંગઠનોએ ‘બ્રેક ધ ચેન’ ઝુંબેશ હેઠળ શનિ-રવિ સ્વૈચ્છિક બંધ પાળ્યો હતો પણ તેનાથી કોઈ ખાસ ફરક પડશે નહિ પણ સતત સાત દિવસ બંધ થી કોરોના ની અસર ઓછી થવાનો મત છે.
બીજીતરફ સુરત શહેરના અગ્રણી 27 તબીબોએ સ્વૈચ્છિક લોકડાઉન રાખવા અપીલ કરી છે. તબીબોએ જણાવ્યું હતું કે કોરોનાના કેસ વધતાં મેડિકલની માળખાગત સુવિધાઓ પર વધુપડતું ભારણ આવ્યું છે. આ સ્થિતિમાં 15 દિવસ લોકો જેટલા ઓછા લોકોને મળે એટલી કોરોના સંક્રમણની ચેન તૂટશે.
સુરત શહેરને બચાવવા માટે 7 દિવસનું લોકડાઉન આવશ્યક છે. શહેરમાં સંક્રમણ ઘટાડવું હોય તો તે જરૂરી છે. હાલ હોસ્પિટલોમાં બેડ નથી, વેન્ટિલેટર મળતાં નથી ત્યારે આરોગ્યતંત્ર પર પણ ભારણ વધ્યું છે. સરકારે પ્રજાના હિતમાં સાત દિવસનું લોકડાઉન જાહેર કરવું જોઈએ એવી માગ ઉઠવા પામી છે પરિણામે નજીક ના ભવિષ્યમાં આ નિર્ણય લેવાવાની શકયતા વ્યક્ત કરાઇ રહી છે.