સુરત માં હીરા ઉદ્યોગ માં તેજી નીકળી પણ ‘સુરત છોડી વતન ગયેલા’ ત્રણ લાખ કામદારો પરત નહિ આવતા વેપારીઓ માં ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે હાલ કમાઈ લેવાનો સમય છે પણ કામદારો આવતા નથી એમાંય વાવાઝોડું આવતા અને ચોમાસા અગાઉ વતન માં મકાનો રિપેર કરવા અમુક વધુ કામદારો વતન ભેગા થતા વેપારીઓ ચિંતા માં મુકાયા છે.
સુરત શહેરમાં કોરોના ની પહેલી લહેર અને ફરી બીજી લહેર અને હવે મ્યુકર માઇકોસિસ તેમજ વાવાઝોડા ની અસરો વચ્ચે ગામડે ગયેલા અંદાજે 3 લાખ રત્નકલાકાર પરત ન ફરતા સુરત માં કારીગરો ની અછત વર્તાઇ રહી છે. જેના કારણે પ્રોડક્શન ઉપર સીધી અસર થઇ છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં હીરાની ડિમાન્ડ નિકળતા સુરતના ડાયમંડ માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ વતન ગયેલા કર્મચારીઓ પરત ન ફરતાં યોગ્ય સમયે પ્રોડક્શન થતું નથી જેથી માંગ સામે પહોંચી વળાતું નહિ હોવાની વાત સામે આવી છે.
બીજી તરફ અમેરિકા, યુએસ અને હોંગકોંગમાં કોરોના નું સંક્રમણ ઘટતાં ત્યાં લોકડાઉન ખુલી ગયું હોવાથી લોકો માં ખરીદી નીકળતા હીરાની વૈશ્વિક ડિમાન્ડમાં ખૂબ જ તેજી આવી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે એક્સપોર્ટ પણ વધવાની શક્યતા છે. સાથે-સાથે સુરત શહેરમાં બનતી ડાયમંડ જ્વેલરીની પણ ઈન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ વધી છે. હીરામાં તેજી છે પરંતુ કારીગરોની અછત સર્જાતી હોવાથી હીરા કારખાનેદારોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.
હીરામાં હાલ તેજી છે, પરંતુ કોરોનાની સ્થિતિ માં કામ બંધ થતાં મકાન ના ભાડા ભરવા મોંઘા થતા તેમજ રોજી વગર ઘર ચલાવવું મુશ્કેલ બનતા ઘણા પરિવારો સુરત છોડી ગયા હતા તેમજ તે પૈકી વતન ગયેલા કર્મચારીઓ પરત નહિ ફરતાં તેની અસર હીરામાર્કેટ પર થઈ રહી છે. હાલ સુરત શહેરની મોટાભાગની કંપનીઓમાં 20થી 25 ટકા સુધી કર્મચારીઓની ઘટ વર્તાઈ રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.