68 દિવસના લોકડાઉન પછી સુરત આરટીઓ કચેરી આજે ખુલી હતી. પ્રારંભમાં સોશ્યલ ડિસ્ટન્સ સાથે કામકાજ શરૂ થયું હતું. પરંતુ બપોરે બાર વાગ્યા પછી વાહનમાલિકોના ટોળા ઉમટી પડ્યા હતા. સવારે એચએસઆરપી ડિપાર્ટમેન્ટ દ્વારા અંગ્રેજીમાં મેસેજ મોકલવામાં આવ્યો હતો. તેને કારણે ગેરસમજ થતા લોકો મોટી સંખ્યામાં નંબર પ્લેટ લગાવવા આવી પહોંચ્યા હતા. હકીકતમાં વિભાગ દ્વારા જુની એપાઇન્ટમેન્ટ રદ્દ કરી નવેસરથી એપાઇન્ટમેન્ટ લેવા માટે મેસેજ આપવામાં આવ્યો હતો પરંતુ લોકોને એવું થયું કે આજે જ તેમને બોલાવવામાં આવ્યા છે. એવી જ રીતે પાકા લાઇસન્સ સહિતની અન્ય એપાઇન્ટમેન્ટમાં પણ બન્યું હતું. માર્ચથી મે મહિના સુધીની જૂની એપોઇન્ટમેન્ટ રદ્દ કરી દેવામાં આવી હતી. વધુ મળીને 18 હજાર જૂની એપાઇન્ટમેન્ટ રદ્દ થતા લોકોએ આરટીઓ કચેરીમાં હોબાળો મચાવ્યો હતો.
સુરતના ઇન્ચાર્જ આરટીઓ ડી.કે. ચાવડાએ જણાવ્યું હતું કે વાહન વ્યવહાર વિભાગના આદેશને પગલે જૂની એપાઇન્ટમેન્ટ રદ્દ કરવામાં આવી છે. તેનો મેસેજ પણ દરેક અરજદારને મોકલવામાં આવ્યો હતો. હવે સરકારે જૂની એપાઇન્ટેમેન્ટ રિ-શિડ્યૂલ નક્કી કરવાનું નક્કી કર્યુ છે. અરજદારોને હેલ્પ ડેસ્કથી એપાઇન્ટમેન્ટ રિ-શિડ્યૂલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. દરમિયાન આરટીઓએ શનિવાર અને રવિવારની રજાઓમાં પણ કચેરી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. રજાના દિવસે પણ ઓનલાઇન એપોઇન્ટમેન્ટના આધારે ડ્રાઇવિંગની ટેસ્ટ લેવામાં આવશે. આજે 75 દિવસ પછી ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ થયો હતો. આર.ટી.ઓ. દ્વારા કોન્ટ્રેક્ટ કેરેજના વાહનોનો અગાઉનો ટેક્સ બાકી હોય તો 25 માર્ચ 2020ના ઠરાવ મુજબ જૂનો ટેક્સ ભરાવી વાહન નોન યૂઝની અરજી સ્વીકારવાં આવશે. જોકે આર.ટી.ઓ કચેરીની બહાર ટાઉટોના ટોળા 144ની કલમ લાગું હોવા છતાંય ઉમટી રહ્યા છે. આર.ટી.ઓએ અડાજણ પોલીસને તેની જાણ પણ કરી છે.