હાલમાં રાજ્યમાં વરસાદી માહોલ નથી. પરંતુ ભેજ અને ગરમીથી લોકો ત્રસ્ત છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 3 દિવસ સુધી સામાન્ય વરસાદની સંભાવના છે. રાજ્યમાં 9 અને 10 સપ્ટેમ્બરે ભારે વરસાદની સંભાવના છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 15 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં નવસારીના જલાલપોરમાં સૌથી વધુ 3.76 ઈંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર સિસ્ટમ બનવાને કારણે વરસાદની તીવ્રતા વધશે. આગામી 3 દિવસ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદ પડશે. જ્યારે 9 અને 10 સપ્ટેમ્બરે વરસાદનું જોર વધવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ અને તાપીમાં 9 અને 10 સપ્ટેમ્બરે વધુ વરસાદ પડી શકે છે.
અમરેલી, ભાવનગર આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે
સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. 2 થી 3 દિવસ સુધી તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. હાલ અમદાવાદમાં તાપમાન 35 ડિગ્રીની આસપાસ રહેશે. જે 37 ડિગ્રી સુધી વધી શકે છે. વાદળછાયું વાતાવરણ દૂર થતાં સીધા સૂર્યપ્રકાશને કારણે તાપમાનમાં વધારો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં હાલ ચક્રવાતની કોઈ શક્યતા નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં 778 મીમી વરસાદ નોંધાયો છે. જો 7 સપ્ટેમ્બર પછી નીચા દબાણનું ક્ષેત્ર બને તો વરસાદની તીવ્રતા વધી શકે છે.
અમદાવાદ, ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. દક્ષિણ અમદાવાદમાં વરસાદ પડી શકે છે. છેલ્લા 24 કલાકમાં કુલ 15 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં નવસારીના જલાલપોરમાં સૌથી વધુ 3.76 ઈંચ વરસાદ નોંધાયો છે. વલસાડમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારીમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે વલસાડના વાપી, ખેરગામ, પારડીમાં એક ઈંચથી પણ ઓછો વરસાદ નોંધાયો છે. વલસાડના ઉમરગામ, કપરાડા, નિઝર, ધરમપુર, પલસાણા, જાંબુધોડ, સાંવરકુંડલા, સુરત અને સાગબારામાં પણ વરસાદ પડ્યો છે.
નર્મદા ડેમની જળ સપાટી 137.8 મીટરે પહોંચી છે
સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં મંગળવારે ફરી વધારો થયો છે. હાલમાં નર્મદા ડેમની જળ સપાટી 137.8 મીટરે પહોંચી છે. નર્મદા ડેમમાં 96,866 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આ સાથે નર્મદા ડેમના 0.35 સેમીના બે દરવાજા ખોલીને 10,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે. તેમજ 1200 મેગાવોટ રીવરબેડ પાવરહાઉસ સતત 24 કલાક ચાલુ છે. જેના કારણે દરરોજ વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે.