સુરતમાં બાળકો પર કૂતરાના હુમલામાં વધારો નોંધાયો છે. ખાસ કરીને બાળકો આ રખડતા કૂતરાઓના હુમલાનો શિકાર બની રહ્યા છે. આવી સ્થિતિમાં કૂતરાઓના ઉપદ્રવને અંકુશમાં લેવા માટે મહાનગરપાલિકાને એકશન પ્લાન તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. લોકોનો રોષ જોઈને મેયરે આરોગ્ય અને બજાર વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
કૂતરાઓનું ટોળું રાત્રે એકલ ડ્રાઇવરો માટે જોખમ ઊભું કરે છે. શહેરના અનેક વિસ્તારોમાં રાત્રીના સમયે કૂતરાઓનો આતંક વધી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં ત્રણ બાળકો પર રખડતા કૂતરાઓએ જીવલેણ હુમલો કરી ઘાયલ કર્યા છે. આવી ઘટનાઓ બાદ લોકોમાં કૂતરાઓનો ડર વધી રહ્યો છે. નગરપાલિકા તંત્ર દ્વારા કૂતરાઓનો ઉપદ્રવ દૂર કરવા માટે કોઈ પ્રયાસો કરવામાં ન આવતા લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે.
લોકોના રોષને જોતા મેયર હેમાલીબેન બોઘાવાલાએ અધિકારીઓની બેઠક બોલાવી શહેરમાં રખડતા કૂતરાઓની સમસ્યાનો અંત લાવવા આરોગ્ય વિભાગ સાથે ચર્ચા કરીને એકશન પ્લાન તૈયાર કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત સમગ્ર શહેરમાં કૂતરાઓનો સર્વે કરવા તેમજ કૂતરાઓની સંખ્યા વધુ હોય તેવા વિસ્તારોમાં વધુ ટીમો તૈનાત કરવા સૂચના આપવામાં આવી છે.