સુરતના વરાછા મોહનની ચાલ ખાતે આવેલી જ્વેલરીની ફેક્ટરીમાં છે માસથી કામ કરતો બંગાળી કારીગર તેને દાગીના બનાવવા માટે આપેલા શુદ્ધ સોનામાંથી રૂ.90 હજારની કિંમતનું 25 ગ્રામ સોનું ચોરી ફરાર થઈ ગયો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના વતની અને સુરતમાં નાના વરાછા ચીકુવાડી ગેટ નં.4 સ્નેહમિલન સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ મગનભાઈ ભંડેરી વરાછા મોહનની ચાલ પાંચ ગાળા નં.11થી 15માં જાન્વી જેમ્સના નામે ભાવેશભાઈ કોઠીયા સાથે ભાગીદારીમાં જ્વેલરી બનાવવાની ફેક્ટરી ચલાવે છે.
તેમની ફેક્ટરીમાં 40થી 50 કારીગરો કામ કરે છે અને દાગીના બનાવવા માટે શુદ્ધ સોનું આપવાનું કામ મેનેજર ફિરોજભાઈ કરે છે. મૂળ પશ્ચિમ બંગાળના વર્ધમાન જીલ્લાનો વતની સૈતુક અબ્દુલ લતીફ એસ.કે છ મહિના અગાઉ તેમની ફેક્ટરીમાં કામ ઉપર જોડાયો હતો અને તે ફેક્ટરીમાં જ રહેતો હતો.
દરમિયાન, ગત શનિવારે સવારે ફિરોજભાઈએ તમામ કારીગરોને શુદ્ધ સોનું આપ્યું હતું. તે સમયે તેમણે સૈકતને 85 ગ્રામ સોનું આપ્યું હતું. ગત સોમવારે સવારે જ્યારે સોનાનો હિસાબ લીધો ત્યારે તેમાં 25 ગ્રામ સોનું ઓછું હતું અને તે સોનું સૈકતે આપ્યું ન હતું.
સૈકતની શોધખોળ કરતાં તે ફેક્ટરીમાં મળ્યો ન હતો અને તે કોઈને પણ જાણ કર્યા વિના ચાલ્યો ગયો હોવાનું બહાર આવ્યું હતું. રૂ.90 હજારની કિંમતનું 25 ગ્રામ સોનું ચોરી ફરાર થઈ ગયેલા સૈકત વિરૂદ્ધ પ્રકાશભાઇએ ગત રોજ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એ કે દેસાઈએ વધુ તપાસ હાથ ધરી છે.