PM પહેલાં જ સુરતના અમરોલી બ્રિજનું ઉદ્વાટન કરી દેવાયું, ભાજપના નેતાઓ તમાશો જોતાં રહ્યા30મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સુરતના અમરોલી ખાત નિર્માણ થયેલા માનસરોવર બ્રિજનું ઉદ્વાટન કરવામાં આવનાર હતું પરંતુ તે પહેલાં જ કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડીયાએ બ્રિજને ખુલ્લો મૂકી દીધો હતો અને ભાજપની હાલત કફોડી કરી દીધી હતી. આજે સવારે સાત વાગ્યે દિનેશ કાછડીયાએ બ્રિજને ખુલ્લો મૂકીને વાહનો ચાલકોને બ્રિજ પરથી વાહન લઈ જવા માટે પણ પ્રયાસો કર્યા હતા,
સુરત કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડીયાએ કહ્યું કે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપરાંત ભાજપ શાસકોને બ્રિજને ખુલ્લો મૂકવા માટે વારંવાર રજુઆત કરવામાં આવી હતી કે બ્રિજનું કામ પુરું થઈ ગયું છે તો બ્રિજને તાત્કાલિક લોકો માટે ખુલ્લો મૂકવામાં આવે. પરંતુ ભાજપ શાસકો અને વહીવટી તંત્ર દ્વારા ખોટી રીતે બ્રિજની ઉદ્વાટનવિધિ માટે વિલંબ કરવામાં આવ્યો હતો.
તેમણે જણાવ્યું કે પાછલા દોઢ મહિનાથી બ્રિજનું કામ પુરું થઈ ગયું છે. 74.76 લાખના ખર્ચે બનેલા બ્રિજની લોકાર્પણવિધિ નહીં કરવામાં આવતા ટ્રાફીકની ભારે સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા હતા. હવ જ્યારે વડાપ્રધાન સુરત આવી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા બ્રિજના ડિજીટલી ઉદ્વાટનનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. વહીવટી તંત્ર અને ભાજપ શાસકો આ પહેલાં પણ આવી રીતે ઉદ્વાટન કરી શક્યા હોત અને લોકોને રાહત આપી શક્યા હોત. આવું નહીં કરાતા કોંગ્રેસ દ્વારા બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને સુરતીઓને બ્રિજની ભેટ આપવામાં આવી છે.
આજે સવારે દિનેશ કાછડીયા એકલા બ્રિજ પર પહોંચી ગયા હતા અને વાહન ચાલકોને બ્રિજ પરથી ગાડીઓ લઈ જવા માટે સમજાવતા નજરે પડ્યા હતા. આ આખીય ઘટના માં સુરત ભાજપના સ્થાનિક કોર્પોરેટરો ઊંઘતા ઝડપાઈ જવા પામ્યા હતા. કોઈ પણ હોદ્દેદાર સ્થળ પર જોવા મળ્યો નહતો. બાદમાં પોલીસ અને કોર્પોરેશના અધિકારીઓએ સ્થળ પર પહોંચી બ્રિજને પાછું બંધ કરી દીધું હતું. લોકોએ કોંગ્રેસના પ્રયાસને વધાવી લીધો હતો અને વાહનોને બ્રિજ પરથી હંકારવાનો આનંદ માણ્યો હતો.