ઉમરપાડાના વાડી ગામે બે ખાનગી મંદિર બનાવવા રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા રૂ.8.80 કરોડની સરકારી ગ્રાંટ વાપરતાં ગુજરાત સરકાર કાનૂની અને બંધારણીય રીતે આફતમાં આવી પડી છે. પ્રજાના નાણાંનો ગેરઉપયોગ પ્રવાસન પ્રધાન ગણપત વસાવાએ કર્યો હોવાના ગંભીર આક્ષેપ સાથે માંગરોળ વિસ્તારના આગેવાન અને નિવૃત્ત IAS જગતસિંહ વસાવા દ્વારા કોર્ટમાં ફરિયાદ દાખલ કરતા, મંદિરમાં સરકારી પૈસા વાપરવાનો મુદ્દો રાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે. જેનો સામનો કરવા માટે 5 ફેબ્રુઆરી 2019માં ભાડૂતી લોકો દ્વારા દેખાવો કરાયા હોવાનો આરોપ નિવૃત્ત IAS અધિકારી જગતસિંહ વસાવા દ્વારા મૂકવામાં આવ્યો છે. તેમણે આ પ્રતિનિધિ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, 200 લોકોને રૂ.500 દનીયું આપીને વન પ્રધાન ગણપત વસાવા અને તેમના 4 ટેકેદારો દ્વારા દેખાવો કરાવ્યા હતા.
રામજી અને ભાથીજી મંદિરનો વિવાદ
ઉમરપાડાના વાડી ગામે શ્રી નિરાંત રામજી મંદિર અને ભાથીજી મંદિરના નિર્માણ માટે રાજ્યના પ્રવાસન વિભાગમાંથી રૂ.8.80 કરોડની ગ્રાન્ટ ફાળવી છે, બંને મંદિરનું કામ ચાલી રહ્યું છે. જગતસિંહ વસાવા અને રાજ્યના વન અને પ્રવાસન વિભાગના કેબીનેટ મંત્રી ગણપતસિહ વસાવા બંને વાડી ગામના છે. વન પ્રધાનના કરોડોના ભ્રષ્ટાચારો જેમણે જાહેર કર્યા છે. ગુજરાતની વડી અદાલતમાં તેમણે હુકમ મેળવ્યો છે કે ગણપત વસાવા સામે અપ્રમાણસરની મિલકતો છે તેની તપાસ લાંચ રૂશ્વત વિરોધી દળ દ્વારા ગુજરાત સરકાર કરે પણ તેમની સામે કોઈ તપાસ આજ સુધી વિજય રૂપાણીની ભાજપ સરકારે કરી નથી. ગણપત વસાવા સામે તેઓ વર્ષોથી લડી રહ્યાં છે. તેમને રાજકીય સબક શિખવવા માટે જગતસિંહ ત્રણ વખત ચૂંટણી લડી ચૂક્યા છે.
મંદિરમાં ભ્રષ્ટાચારનો આરોપ
૩ હજાર લોકોની વસ્તી ધરાવતા વાડી ગામે નીતિ નિયમ વિરુદ્ધ ગ્રાન્ટ ફાળવી પ્રજાના ટેક્ષના રૂપિયા વાપરી રહ્યા છે. આ મંદિર કોઈ પ્રવાસન ધામ નથી ખાનગી મંદિર છે. ખાનગી મંદિરમાં રૂ.8 કરોડથી વધુની ગ્રાન્ટ ફાળવી ભ્રષ્ટાચાર કર્યો છે. જે અંગે ભ્રષ્ટાચાર અને બંધારણ વિરૃદ્ધની બાબત ઊભી કરાતા તેમની સામે ગણપત વસાવાએ સાધુ સંતો અને ભાજપ કાર્યકરો ઊભા કરી દીધા છે.
ભાડુતી લોકોએ દેખાવ કરી પુતળું સળગાવ્યું
મહિલાઓ અને ભાજપ કાર્યકરો ઉમરપાડા તાલુકા મથકે ભેગા થઇ એક સભા કરી હતી. ભ્રષ્ટાચાર સામે પગલાં લેવાના બદલે ભાજપે જગતસિંહના પુતળું તળગાવ્યું હતું. રેલી કાઢીને મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. વન પ્રધાનની સૂચનાથી પોલીસે સહકાર આપ્યો હતો ને કોઈની સામે ગુનો દાખલ કર્યો નથી.
દેખાવો કરવા આવો અને રૂ.500 લઈ જાઓ
ભાજપના થોડા કાર્યકરોને બાદ કરતાં બીજા લોકોને રૂ.500 આપીને દેખાવો કરવા માટે લાવવામાં આવ્યા હોવાનો આરોપ જગતસિંહે મૂક્યો છે. ખરેખર તો વન પ્રધાને આ બાબતે રાજ્યની પ્રજાના ખોટી રીતે નાણાં વાપરવા બદલ માફિ માંગવી જોઈતી હતી. પણ લાજવાના બદલે તેઓ ગાજી રહ્યાં છે.
અરજી પરત ખેંચવા દબાણ
જગતસિંહએ કહ્યું હતું કે મેં વડી અદાલતમાં ફરિયાદ કરી છે. હું ખોટો હોઈશ તો વડી અદાલત મને ઠપકો આપશે. કેબીનેટ મંત્રી સામે અવાજ ઉઠાવ્યો એટલે મારો વિરોધ એ લોકો કરી રહ્યા છે. દેખાવો કરનારા લોકોએ કેબીનેટ વન પ્રધાન અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ગણપત વસાવા પાસેથી ફાયદો ઉઠાવ્યો હતો તેઓ જ દેખાવો કરવામાં હતા. મારો સામાજિક બહિષ્કાર એક પ્રધાન કરી રહ્યાં છે. પુતળું સળગાવી વિરોધ કર્યો એ મારો વિરોધ નથી, આદિવાસી સમાજનો વિરોધ છે. શા માટે મારા પર દબાણ લાવી અરજી પછી ખેંચવા વન પ્રધાન દબાણ કરી રહ્યા છે.
લડાઈ લડવા કોંગ્રેસમાં જોડાયા
જગતસિંહ 21 જાન્યુઆરી 2019માં કોંગ્રેસમાં જોડાયા હતા. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં માંગરોળ બેઠક એક એવી બેઠક હતી કે જ્યાં 5 રાષ્ટ્રીય પક્ષો ચૂંટણી મેદાનમાં હતા. ગણપત વસાવાની સામે NCPના ઉમેદવાર તરીકે જગતસિંહ હતા. ભાજપ પક્ષમાંથી ટિકિટ ન મળતા નારાજ થયેલા હળપતિ આવાસ નિગમના ચેરમેન કુંવરજી હળપતિએ પોતાની એક ઉમેદવારી માંડવી બેઠક ઉપર કર્યા પછી માંગરોળ બેઠક ઉપર પણ ઉમેદવારી નોંધાવી હતી. આમ અહીં પાંચ રાષ્ટ્રીય પક્ષોના ઉમેદવારો થયા હતા.
વસાવા પર ઈંડા ફેંકાયા
ગુજરાત ગૌરવયાત્રામાં પ્રવચન કરતા ગણપત વસાવા પર BTS અને કોંગ્રેસના કાર્યકરોએ ઇંડા અને ટામેટા ફેંકી વિરોધ કર્યો હતો. આદિવાસીઓમાં પ્રભુત્વ ધરાવતા ગણપત વસાવાનો ત્યારે ભારે વિરોધ થયો હતો. જેની પાછળ કોણ હતું કે કોઈ જાણી શક્યું નથી. પણ બન્ને વસાવા વચ્ચેની લડાઈ કારણભૂત પણ હોઈ શકે છે.
વડી અદાલતનો આદેશ પણ કોઈ પગલાં ન ભરાયા
ACB, ઇન્મકટેક્સ ડિપાર્ટમેન્ટ સહિતના સત્તાવાળાઓને આદિજાતિ અને મહિલા બાળ વિકાસ તેમ જ વન અને પર્યાવરણ પ્રધાન ગણપત વસાવા, તેમના પત્ની નીલમબહેન, કોસંબા માંગરોળ ખાતે રહેતા રાકેશ રણજીત સોલંકી અને ગાંધીનગરના કનૈયાલાલ ગાંડાલાલ દેસાઇ વિરૂધ્ધ પ્રિવેન્શન ઓફ કરપ્શન એકટની કલમ13 (ઇ), 13(2) હેઠળ ગુનો દાખલ કરવા અને સમગ્ર મામલામાં ન્યાયિક તપાસ કરવા ઉગ્ર માંગણી કરી હતી. ગુજરાત હાઇકોર્ટે ફરિયાદના મામલે યોગ્ય નિર્ણય લેવા ખુદ ACBના ડાયરેકટરને સ્પષ્ટ હુકમ કર્યો હતો.
1731 કરોડ ક્યાં ગયા?
આદિવાસી માટે નાણાં ફળવાય છે પણ તે વપરાતા નથી અને મોટાપાયે ગંભીર ભ્રષ્ટાચાર આચરાય છે. આદિવાસીઓના નામે 83 એનજીઓને રૂ.1731 કરોડ ફાળવાયા હતા, તેનો હિસાબ પણ મંત્રી વસાવા આપી શકયા નથી. આમ, મંત્રી ગણપત વસાવા ગંભીર પ્રકારના ભ્રષ્ટાચારના કેસમાં સંડોવાયેલા છે. જરાત હાઇકોર્ટે મંત્રી વસાવા વિરૂદ્ધ ફરિયાદ પરત્વે ખુદ ACBના ડાયરેક્ટરને નિર્ણય લેવાનો હુકમ કર્યો હોવા છતાં
ગણપત વસાવાની મિલકતો
- ભરૂચમાં રૂ.69 લાખની કિંમતની જમીન
- સુરતમાં રૂ.22 લાખની બિનખેતીની જમીન
- ભરૂચમાં પત્નીના નામે રૂ.79 લાખની જમીન
- સુરતમાં રૂ.2 કરોડનો ફ્લેટ
- અંકલેશ્વર GIDCમાં રૂ.6 કરોડનો બંગલો
- સુરતના કલામંદિર જ્વેલર્સમાં રૂ.10 કરોડની ભાગીદારી
- કોસંબામાં પત્નીની નામે રૂ.50 કરોડની ભાગીદારીની જ્વેલર્સની દુકાન
- તક્ષશીલા ઇન્ટરનેશનલ સ્કૂલમાં રૂ.2 કરોડનું રોકાણ
- નાનસિંહ વસાવા નામના શિક્ષક દ્વારા રૂ.1 કરોડનું રોકાણ
- સાપુતારાની આકાર લોર્ડ્ઝ ઈનમાં રૂ.2 કરોડનું રોકાણ
વન પ્રધાન પર પથ્થર ફેંકાતાં ભાગવું પડ્યું
એક વર્ષ પહેલાં જાન્યઆરી 2018માં વન અને આદિજાતી મંત્રી ગણપત વસાવા પર રાજપીપળામાં રોષે ભરાયેલા લોકોએ હુમલો કરતાં તેમણે ભાગવું પડ્યું હતું. જો કોઈ સામાન્ય માણસ પર આ રીતે હુમલો થયો હોત તો તેમને જ ફરિયાદી બનવાની પોલીસે ફરજ પાડી હોત પણ અહીં ગણપત વસાવાને ફરિયાદી બનાવવાના બદલે પોલીસ પોતે ફરિયાદી બની છે. ભાજપના નેતા ગણપત વસાવાની કાર પર લોકોએ પથ્થર મારો કર્યો હતો. આદિવાસી સમાજના યુવાઓ અને આગેવાનોએ દેખો દેખો કૌન આયા, આદિવાસી કા ગદ્દાર આયા કહીને ગણપત વસાવા વિરુધ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો. પણ તેમની એક ચૂંટણી સભામાં ધાંધલ ધમાલ કરનાર લોકોને મારો અને સજા કરો એવો આદેશ વસાવાએ માઈક પરથી આપ્યો હતો, તેમ છતાં તે અંગે તેમની સામે કોઈ ફરિયાદ પોલીસે નોંધી નથી. આ ઘટના બાદ તેઓની ભારે નાલેશી થઈ હોવાનું લોક મુખે ચર્ચાતા તેમણે સામે કંઈક કરી બતાવવા અને અપમાનનો બદલો રાજકીય વેરથી લેતા હોય તેમ કોંગ્રેસના 100 કાર્યકરો તેઓ પોતાની સાથે લઈ ગયા છે.