દેશમાં 2000ની નોટ બંધ થતાં કાળુ નાણુ અચાનક બહાર આવવાની શક્યતા વચ્ચે હવે આઇટી વિભાગમાં હલચલ મચી છે અને વોચ રાખવાનું શરૂ થઈ ચૂક્યું છે.
ગુજરાતની વાત કરવામાં આવેતો માત્ર ડાયમંડ સીટી સુરત શહેરમાં જ રૂ. 2000 હજારની આશરે 8થી 10 હજાર કરોડની નોટો હોવાનું મનાય છે. સૂત્રોનું માનીએ તો બેનંબરના વ્યવહાર માં જ આ નોટ ફરી રહી છે. કેમકે મોટાભાગનો ભ્રષ્ટાચાર આ નોટ મારફતે જ થાય છે.
આઇટી ડિપાર્ટમેન્ટ હવે જે ખાતામાં જંગી નોટો જમા થવાની છે તેના પર વોચ રાખી રહ્યું છે. નોંધનીય છે કે, રૂપિયા 49 હજારની ઉપર રકમ બેન્કમાં ડિપોઝિટ કરવાના હોય તો પાનકાર્ડ આપવુ પડશે.
હવે આ રીતે જે વ્યકિત રૂ. બે હજારની નોટો જમા કરાવશે એની માહિતી આઇટી સુધી પહોંચશે અને જે ખાતાઓમાં વધુ રકમ જમા થશે એ વ્યક્તિ જો આ રૂપિયા ક્યાંથી આવ્યા એનો ખુલાસો ન કરી શકે તો 75 ટકા સુધી ટેક્સ ભરવાનો આવશે અને વ્યાજ અલગથી વસુલાશે.
એક અંદાજ મુજબ સાડા ત્રણ લાખ કરોડ ની બે હજારની નોટ માર્કેટમાં છે. અંદાજ મુજબ 50 હજાર કરોડ પરત આવે તો ત્રણ લાખ કરોડની નોટ બેનંબરની કહેવાશે.
અગાઉ નોટબંધીમાં જે સિસ્ટમ હતી તે જ ફરી શરૂ થતાં કેટલાક લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
જોકે,હાલમાં રૂ.20 હજાર સુધી બેન્કમાં જમા થઈ શકે છે એટલે જેઓ પાસે ઘરમાં 40-50 હજાર છે તેઓ આસાનીથી જમા કરાવી શકે છે પણ મોટી અબજોની રકમ જમા કરાવવા મુદ્દે ગડમથલ શરૂ થઈ છે.