પાછલા લાંબા સમયથી રાજદ્રોહના કેસમાં જેલવાસ ભોગવી રહેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અને હાર્દિક પટેલના ખાસ વિશ્વાસુ એવા અલ્પેશ કથીરીયાના પરિવારજનોની ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે મુલાકાત કરી હતી. નરેશ પટેલે અલ્પેશના પરિવારજનોને હૂંફ આપી હતી અને કથીરીયાનો જેલવાસ જલ્દીથી પૂર્ણ થશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમણે ન્યાયતંત્રમાં સંપૂર્ણ ભરોસો હોવાનું જણાવ્યું હતું અને સરકાર સાથે વાતચીત ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.
એક સમયે PAASમાં નંબર ટૂની પોઝીશન ધરાવતા દિનેશ બાંમભણીયા સહિતના કાર્યકરો સાથે નરેશ પટેલે સુરતના નાના વરાછા ખાતે આવેલી ગીરનાર સોસાયટીમાં અલ્પેશ કથિરીયાના ઘરે મુલાકાત કરી હતી, મુલાકાત દરમિયાન પરિવારજનોના ખબર અંતર પુછ્યાં હતાં. આ ઉપરાંત નરેશ પટેલે પરિવારના સભ્યોને દિલાસો આપ્યો હતો કે, વહેલી તકે અલ્પેશ કથિરીયા જેલમુક્ત થાય તે પ્રકારના પ્રયાસો તેમના દ્વારા કરવામાં આવી રહ્યાં છે. પરિવારના સભ્યોને કોઈ તકલીફ નથી તેવી માહિતી મેળવી હતી.
નરેશ પટેલે ત્યાર બાદ મીડિયાને જણાવ્યું હતું કે, અલ્પેશની માતાએ તેને અલ્પેશની મુક્ત કરાવવાનું કહ્યું હતું. હાલ કોર્ટ મેટર છે અને કેસ ચાલે છે. જેથી ન્યાયિક પ્રક્રિયા પ્રમાણે જેલમુક્તિ માટે પ્રયાસ ચાલુ છે. સાથે જ સરકાર સાથે પણ આ બાબતે ચર્ચા ચાલુ છે.
અલ્પેશ કથિરીયાના પરિવારજન ઘનશ્યામભાઈએ જણાવ્યું હતું કે, નરેશભાઈ પટેલે મુલાકાત લઈને અલ્પેશની મુક્તિ માટે મહેનત ચાલુ છે. કંઈ પણ જરૂરીયાત હોય તો કહેજો તેમ કહી ઉમેર્યું હતું કે, ગભરાતા નહીં અમે તમારી સાથે છીએ. પાસના અસંખ્ય કાર્યકરો આ મુલાકાત દરમિયાન હાજર રહ્યા હતા