મોટા વરાછા ખાતે આવેલી આશાદીપ વિદ્યાલય-4 ખાતે વાલીઓ દ્વારા શાળામાં થયેલા ફી વધારા મુદ્દે હોબાળો મચાવવામાં આવ્યો હતો. જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આખરે ટ્રસ્ટીઓ સાથે વાતચીત કરવાની ખાતરી મળતાં વાલીઓ વિખેરાયા હતાં.
મિનાબેન નામના વાલીએ જણાવ્યું હતું કે, સ્કૂલમાં થયેલા ફી વધારાથી તેઓ અજાણ હતાં. સ્કૂલના નોટિસ બોર્ડ પર પણ ફી વધારાનો ઉલ્લેખ કરાયો નથી. વિદ્યાર્થીઓને રિઝલ્ટની પાછળ ફી વધારાનું લખાયેલું હતું જે મોટાભાગના વાલીઓને ખબર નહતી.ગત વર્ષની ફી પણ વધારે લાગતી હતી ત્યારે આ વર્ષે ધરખમ 2500 રૂપિયા જેટલો વધારો કરાયો છે. ગત વર્ષે જે 17,500 ફી હતી તે વધારીને 19,900 કરવામાં આવી છે. જે ફી વધારો પાછો ખેંચવાની માંગ વાલીઓ દ્વારા કરવામાં આવી છે.
આશાદીપ સ્કૂલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, અમુક વાલીઓને પ્રશ્ન હતો તેમાં બીજા વાલીઓ પણ જોડાયા અને બધા એકસાથે પ્રશ્નો રજૂ કરતાં આથી અમે તમામને એફઆરસીની ગાઈડલાઈન મુજબની ફી પણ સ્કૂલ દ્વારા ન લેવાતી હોવાનું કહ્યું હતું. બાદમાં વાલીઓની રજૂઆત ટ્રસ્ટીઓ સુધી પહોંચાડવાની ખાત્રી અપાઈ હતી. વાલીઓના હોબાળાને પગલે પોલીસને પણ બોલાવાઈ હતી.