સુરતથી ઓલપાડને જોડતા સારોલી રેલવે ઓવરબ્રિજનો એક ભાગ ત્રણ સપ્તાહ પહેલા ભારે વરસાદને કારણે તૂટી ગયો હતો. જેના કારણે બ્રિજને તાત્કાલિક અસરથી વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. તે ઘટના બાદ નગરપાલિકા અને સુડા દ્વારા આ પુલની મરામતની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. થોડાક સમારકામ બાદ એક સપ્તાહ પહેલા બ્રિજ ટુ-વ્હીલર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. હવે આજથી આ બ્રિજ ફોર વ્હીલર્સ માટે ખુલ્લો મુકવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે તપાસ કર્યા બાદ જ ફોર-વ્હીલર્સ માટે બ્રિજ ખોલવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે આ પુલની બાજુમાં નવો પુલ બનાવવામાં આવી રહ્યો છે. જો કે આ નવા બ્રિજને પૂર્ણ થવામાં હજુ 4 થી 5 મહિનાનો સમય લાગી શકે છે. સુરત-ઓલપાડને જોડતો એકમાત્ર મુખ્ય માર્ગ હોવાથી 17મી ઓગસ્ટના રોજ સારોલી બ્રિજની એક બાજુ ધરાશાયી થતાં વાહનવ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ ગયો હતો, તેનું સમારકામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું હતું. જેથી નાના-મોટા દરેક વાહન ચાલકોએ ફરજીયાતપણે થોભવું પડ્યું હતું અને સુરતથી ઓલપાડ વચ્ચે મુસાફરી કરતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આ પુલ એક સપ્તાહ પહેલા જ ટુ-વ્હીલર માટે ખુલ્લો મુકાયો હતો. હવે આવતીકાલથી બ્રિજ ફોર વ્હીલર્સ માટે ખુલ્લો મુકવામાં આવશે અને તપાસ કરવામાં આવશે. ત્યારપછી બધુ સુવ્યવસ્થિત થાય ત્યારે પુલને લાંબા સમય સુધી ખુલ્લો રાખવામાં આવશે.