વાવાઝોડું દક્ષિણ ગુજરાતની નજીકથી પસાર થવાનું હોવાથી સુરતમાં અને દક્ષિણ ગુજરાતમાં તેની અસર જોવા મળશે. સુરતમાં સવારથી જ વાતાવરણ વાદળછાયું છે. સાથેજ હળવો પવન અને વરસાદી છાંટા પણ પડી રહ્યા છે. ત્યારે સુરત મહાનગર પાલિકા કમિશ્નર બંછાનિધિ પાની અને કલેક્ટર ધવલ પટેલે આપેલા સંદેશ મુજબ સુરતમાં બપોર બાદ કલાકના 80 થી 90 કિમીની ઝડપે પવન ફૂંકાશે. જેથી કરીને લોકોને આ સમયે ઘરમા રહેવા, રસ્તા પર ન જવા કે દરિયાકાંઠે ન જવા જણાવાયું છે. સાથેજ ઘરના બારી બારણા ચુસ્ત રીતે બંધ રાખી ઘરે જ રહેવાની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.સુરત ક્લેક્ટર ડો. ધવલ પટેલ તેમજ પાલિકા કમિશ્નર બંછાનિધિ પાનીએ બપોરે 12 વાગ્યે એક ઓડિયો મેસેજ થકી માહિતી આપતાં જણાવ્યું હતું કે, વાવાઝોડા(Cyclone)ના પગલે શહેરમાં અને દરિયા કાંઠાના વિસ્તારોમાં 70થી 90ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે. જેથી લોકોએ સાવધાની રાખવી હિતાવહ છે. સુરત દરિયાકાંઠા વિસ્તારના અને કાચા મકાનોમાં રહેતા લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યાં છે. લોકોએ ઝાડ નીચે ન ઉભું રહેવાથી લઈને ઘરના બારી બારણા બંધ રાખવા સહિતની તમામ બાબતોની તકેદારી રાખવા માટે સૂચના આપી છે.
Tuesday, May 14