સુરત શહેરમાં માર્ગ અકસ્માતમાં ઈજા પામેલા બે વૃદ્ધોના સારવાર દરમિયાન ગઈકાલે રાત્રે મોત નીપજ્યા હતા. નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ઘોડદોડ રોડ પર શિવ એપાર્ટમેન્ટમાં રહેતા 70 વર્ષીય શ્યામસુંદર મદનલાલ કનોજીયા ગઈ તારીખ પાંચમી સવારે ઘર પાસે ગાયને રોટલી ખવડાવવા ગયા હતા.
તે સમયે ઘર નજીક પૂરપાટ હંકારતા અજાણ્યા વાહન ચાલક તેમને ટક્કર મારી ભાગી ગયો હતો. તેમને ગંભીર ઈજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે રાત્રે તેમનું મોત નીપજ્યું હતું. તેઓ મૂળ રાજસ્થાનના વતની હતા અને નિવૃત જીવન ગાળતા હતા. આ અંગે ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં ડિંડોલી વિસ્તારમાં રહેતા 55 વર્ષીય સુરેશ ભાઈ સદાભાઇ પાટીલ ગઈ તારીખ 30 મીએ રાત્રે પોપટ રોડ પર જતા હતા. તે સમયે ડીંડોલીના સાંઈ પોઇન્ટ પાસે સ્લીપ થઇ જતા ગંભીર ઇજા થઇ હતી. જેથી તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં ગઈકાલે રાત્રે તેમનું મોત નીપજ્યું હતું.
તેઓ મહારાષ્ટ્ર ધુલિયાના વતની હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેઓ ઉધના વિસ્તારમાં એન્જિનિયરિંગ વર્ક શોપ ચલાવતા હતા. આ અંગે પોલીસે તપાસ આદરી છે.