દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનું પ્રમાણ વધી રહ્યું હતું પરંતુ વાતાવરણમાં આવેલા પલટાને કારણે ગરમીના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. સુરતના મહત્તમ તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. ઉનાળાનું તાપમાન 38.4 થી ઘટીને 34.7 પર આવી ગયું છે. સવારથી લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. બપોરના સમયે ગરમીનો અનુભવ થતો હોવાથી લોકો રોગચાળો ફેલાવાની ચિંતામાં છે.
બુધવારે સુરતમાં મહત્તમ તાપમાન 34.7 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 18.6 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 22 ટકા અને પવનની ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી. સુરતનું રાત્રિનું તાપમાન પણ 19.2 ડિગ્રીથી ઘટીને 18.6 ડિગ્રી થયું હતું. આગામી એક-બે દિવસમાં રાત્રિના તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાનમાં આવેલા પલટાને કારણે દક્ષિણ ગુજરાતમાં ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણથી ચાર દિવસ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા ઓછી છે. સુરતમાં છેલ્લા એક સપ્તાહથી આકરી ગરમી પડી રહી હતી. દરમિયાન ગરમીનો પારો ગગડવાના કારણે ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે.
ગરમીમાં એકાએક વધારો થયા બાદ ઘટાડો થવાને કારણે રોગચાળો વધવાની આશંકા આરોગ્ય વિભાગ સેવી રહ્યું છે. વાતાવરણમાં અચાનક આવેલા બદલાવને કારણે શરદી, તાવ અને ઉધરસના કેસો વધવાની પણ સંભાવના છે. તાપમાનમાં વધઘટ વચ્ચે લોકોએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવાની જરૂર છે.