સુરતના ડીંડોલી વિસ્તારમાંથી લોહીથી લથપથ યુવકની લાશ મળી આવી હતી. ડિંડોલીના નવગામ નજીક આવેલા સીએનજી પંપ પાસે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. મૃતકના મિત્રએ ગુસ્સામાં આવીને છરીના ઘા મારીને હત્યા કરી નાખી હતી. એટલું જ નહીં, પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી થોડા દિવસ પહેલા હત્યાના અન્ય એક આરોપમાં જેલમાંથી જામીન પર છૂટ્યો હતો.
નવાગામ ડીંડોલી વૃંદાવન સોસાયટી સીએનજી પંપ પાસે પડેલી ઝાડીઓમાંથી યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. યુવકનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. યુવકનો મૃતદેહ જોઈ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.
ડિંડોલી પોલીસ પીઆઈ આર.જે.ચુડાસમાએ જણાવ્યું હતું કે લોકોને ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતાં મૃતક યુવકનું નામ મહેન્દ્ર રાઠોડ હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક યુવકની ઓળખ થઈ ગઈ છે, તેની ઉંમર 35 થી 37 વર્ષની છે. મહેન્દ્ર રાઠોડ છેલ્લા એક મહિનાથી સુરતમાં બેરોજગાર હતો અને તેના પિતા સાથે એકલો રહેતો હતો.
આ ઘટનામાં પોલીસે તપાસ કરીને 32 વર્ષીય આકાશ ઉર્ફે લાલો ઉર્ફે ફાયરિંગ જીતુ પટેલની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતાં મૃતક મહેન્દ્ર ઉર્ફે બંગો રમેશ રાઠોડ હોવાનું અને બંને મિત્રો હોવાનું જાણવા મળ્યું હતું. ગત સાંજે બંને વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો અને તેઓ લાંબા સમય સુધી એકબીજા સાથે લડતા રહ્યા હતા. આવી સ્થિતિમાં આરોપીએ પોતાના જ મિત્ર પર ચપ્પુ જેવા હથિયાર વડે હુમલો કરી હત્યા કર્યાની કબૂલાત કરી હતી.
પકડાયેલ આરોપી ભૂતકાળમાં હત્યાના ગુનામાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. અગાઉ પણ તેણે છ મહિના પહેલા ડિંડોલી વિસ્તારમાં આવી જ રીતે એકની હત્યા કરી હતી અને આ ગુનામાં તે ચાર મહિના જેલમાં હતો અને તાજેતરમાં જામીન પર છૂટ્યો હતો.