શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલા મધુરમ સર્કલ નજીક સોમવારની રાત્રે પલ્સર ચાલક બૂટલેગર પર ત્રણ અજાણ્યા ઈસમોએ જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. મરનાર અજય ઉર્ફે અજલાને 10-12 જેટલા ઘા મારી બાઇક પર ફરાર થઈ ગયેલા ત્રણેય અજાણ્યા ઈસમો ધીરજ વાણી, અમોલ બારી અને વાલ્મિકી ઉર્ફે ગાવઠી હોવાનું સાળા નિતેશ રાઠોડે જણાવ્યું હતું. એટલું જ નહીં પણ રૂપિયાની લેતી-દેતીમાં પિતાને માર મારતા પુત્ર ધીરજે અજયને પતાવી દીધો હોવાનું બહાર આવ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, મૃતક બૂટલેગર ભાણિયાના જન્મદિવસની ઉજવણીમાં જતા હતો. દરમિયાન તેની હત્યા થઈ છે. મૃતકના સાળા નિતેશે જણાવ્યું હતું કે, હું ડીંડોલીની સાઈ રેવન્યુમાં રહું છું. સોમવારે મારા દીકરાનો જન્મદિવસ હતો એટલે મારા ઘરેથી સતત ફોન આવી રહ્યા હતા.
અજય પણ ઉજવણીમાં આવી રહ્યો હતો. જેને લઈ હું સોસાયટીમાં પ્રવેશ કરતી વખતે ધીરજ અને એના ત્રણ મિત્રો અજયને શોધી રહ્યા હતા. જોકે, સાઈ રેવન્યુમાં ન મળતા તેઓ ત્યાંથી નીકળીને 500 મીટર દૂર મધુરમ સર્કલ પાસે જ પલ્સર પર ડીંડોલી જતા અજય અરુણભાઈ પટેલ (ઉ.વ. 32 રહે ડીંડોલી અજની નંદન) ને આતરી ઉપરા ઉપરી ચપ્પુના ઘા મારી ભાગી ગયા હતા. વધુમાં ઉમેર્યું હતું કે રોડ ઉપર લોહીના ખાબોચિયામાં પડેલા અજયને જોઈ હું કાર લઈ દોડી ગયો હતો અને ઇજાગ્રસ્ત અજયને ગાડીમાં નાખી નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો હતો. જ્યાથી અજયને બીજી હોસ્પિટલમાં લઈ જવાની સલાહ અપાઈ હતી. એમ એક પછી એક ત્રણ ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં લગભગ 35-45 મિનિટનો સમય નીકળી ગયો હતો. ત્યારનાદ ત્રીજી ખાનગી હોસ્પિટલમાં અજયને મૃત જાહેર કરાયો હતો.