જીવલેણ કોરોના વાયરસના સંક્રમણ માટે રત્નકલાકારો સુપર સ્પ્રેડર બની રહ્યા હોવાથી આવતી કાલે સંભવતઃ મંગળવારનું મંગળવાર હીરા ઉદ્યોગમાં સ્વૈચ્છિક લોક્ડાઉન જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. જો કે સ્વૈચ્છિક લોક્ડાઉનની જાહેરાત માટે ડાયમંડ એસોસિએશન દ્વારા ઉદ્યોગકારોના મંતોવ્યો મંગાવવામાં આવ્યા છે અને ત્યાર બાદ જ જાહેરાત કરવામાં આવશે.
હીરા ઉદ્યોગમાં રત્નકલાકારો સક્રમણ માટે સુપર સ્પ્રેડર બન્યા છે. જેને પગલે શહેરની મોટી હીરા કંપનીઓએ શનિવાર અને રવિવારે બંધ રાખવાનો તો કેટલીક કંપનીઓ અઠવાડિયાની રજા આપી દીધી છે. ત્યારે આજ રોજ ડાયમંડ એસોસિશેશનના હોદ્દેદારોએ હીરા ઉદ્યોગકારો સાથે વિચાર મંથન કર્યું હતું. જેમાં હોદ્દેદારોએ મંગળવારથી મંગળવાર એકમો બંધ રાખવા અંગે તેઓના મંતવ્યો માંગ્યા હતા.
આ અંગે જીજેઇપીસીના રિજીયોનલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે હાલમાં ઉદ્યોગકારોનો મંતવ્યો મેળવવામાં આવી રહ્યા છે અને સોમવારે એસોસિએશનની બેઠક મળશે. ત્યાર બાદ મંતવ્યોના આધારે વાયરસના સક્રમણને અટકાવવા માટે મંગળવારથી મંગળવાર સુધીનું સ્વૈચ્છિક લોક્ડાઉન જાહેર કરવામાં આવશે.