સુરતના ઉધના સોનલ ઈન્ડસ્ટ્રીઝ રોડ કૃષ્ણ નગર સોસાયટીમાં કેટરર્સના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ગોડાઉન બંધ હતું ત્યારે ગેસ લીકેજ થતાં સિલિન્ડર ફાટતાં આગ ફાટી નીકળી હતી.
ફાયર વિભાગમાંથી પ્રાપ્ત વિગત મુજબ, ઉધના સોનલ ઈન્ડસ્ટ્રીઝ રોડ પર આવેલી કૃષ્ણ નગર સોસાયટીમાં તુષારકુમાર ઠાકરનું કેટરર્સનું વેરહાઉસ છે. સવારે ગોડાઉન બંધ હતું ત્યારે ગેસ લીકેજ થતાં સિલિન્ડર ફાટ્યો હતો. જેના પગલે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. માન દરવાજા, મજુરા અને ભેસ્તાન ફાયર સ્ટેશનની પાંચ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.
ફાયર ઓફિસર અક્ષય પટેલે જણાવ્યું હતું કે સવારે કેટરર્સનું ગોડાઉન બંધ હતું ત્યારે ગેસ સિલિન્ડરમાં લીકેજ થતાં બ્લાસ્ટ થયો હતો. ગોડાઉનમાં 5 જેટલા સિલિન્ડર હતા જેમાંથી એકમાં વિસ્ફોટ થયો હતો. આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં બાજુમાં આવેલી બિલ્ડીંગમાં પણ આગ લાગી હતી, પરંતુ ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ આગના કારણે કેટરર્સના વેરહાઉસમાં રસોડાના સાધનો આગ અને પાણીના કારણે ખાક થઈ ગયા હતા.