સુરતના નવાપુરા-ગોલવાડ વિસ્તારમાં મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ બિલ્ડિંગના ત્રીજા માળે લાગી હતી. ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચીને બીજા માળે આગમાં ફસાયેલી મહિલાને સુરક્ષિત બહાર કાઢી હતી.
નવાપુરા-ગોલવાડ વિસ્તારમાં ત્રીજા માળની બિલ્ડીંગમાં આગ લાગી હતી. ત્રીજા માળે આવેલા પથ્થરના શેડમાં અચાનક કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી અને આગ ધીમે ધીમે ફેલાઈ હતી. આગ બીજા માળે પણ લપેટમાં આવી હતી. જૂના શહેર કોટ વિસ્તારમાં આવેલું મકાન લાકડાનું બનેલું હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી.
ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની બિલ્ડીંગમાં આગ લાગતાં રહીશો ગભરાઈ ગયા હતા. આગ ત્રીજા માળેથી શરૂ થઈને બીજા માળ સુધી ફેલાઈ ત્યારે દમયંતીબેન હાજર હતા. આગ વધુ પ્રસરે તે પહેલા ફાયર વિભાગ સ્થળ પર પહોંચી ગયું હતું અને દમયંતીબેનને સલામત રીતે નીચે ઉતાર્યા હતા. દમયંતી બેનને નીચે લાવવામાં આવતા આગ બીજા માળે પણ ફેલાઈ ગઈ હતી. જેના કારણે ઘરને પણ નુકસાન થયું હતું.
ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર આગની માહિતી મળતા જ ફાયર સ્ટેશનની ત્રણથી ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મકાનનું જૂનું બાંધકામ હોવાથી કોઈ કારણોસર ત્રીજા માળની ઉપરના પથ્થરના શેડમાં આગ લાગી હતી જે બીજા માળ સુધી ફેલાઈ હતી. બીજો અને ત્રીજો માળ આગની લપેટમાં આવી ગયો હતો. આગની માહિતી મળતાં જ ઘાંચીશેરી, માન દરવાજા, નવસારી બજાર અને મજુરા ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.