સુરત શહેરની મુખ્ય બે હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલોને 120 મેટ્રિક ટન ઓક્સિજનની સામે હજીરાની આઇનોકસ કંપનીએ કાપ મુકીને અન્યત્ર સપ્લાય કરી રહ્યા હોવાથી સ્પેશિયલ ઓફિસર એન.થેન્નારસનની સુચનાથી આજે પોલીસ બંદોબસ્ત સાથે અધિકારીની ટીમે કંપનીમાં ધામા નાખ્યા હતા. અને જયાં સુધી સુરતને સંપુર્ણ જથ્થો નહીં મળે ત્યાં સુધી અન્ય શહેર અને રાજયમાં જનારા ટેન્કરો અટકાવી દીધા હતા.સુરત શહેરે હવે ઓકિસજન લૂંટવાનું જ બાકી રાખ્યુ હોઇ તેમ સુરતમાં મોટાપ્રમાણમાં ઓકિસજનનું ઉત્પાદન થતુ હોવા છતા જે રીતે બહાર સપ્લાય થઇ રહ્યો છે. તેને લઇને પ્રજામાં અને તંત્રમાં પણ રોષ છે. આ રોષમાં આજે હજીરાની આઇનોકસ કંપની ઝપેટમાં આવી ગઇ હતી. સુરત શહેરની મુખ્ય બે સિવિલ અને સ્મીમેર સહિત 300 થી વધુ ખાનગી હોસ્પિટલોમાં અલગ અલગ કંપનીમાંથી ઓકિસજન સપ્લાય થાય છે. તેમાં હજીરાની સૌથી મોટી આઇનોકસ કંપનીમાંથી સૌથી વધુ જથ્થો ફાળવાઇ રહ્યો છે.
આ કંપનીમાંથી સિવિલ અને સ્મીમેર બન્ને હોસ્પિટલોને દરરોજ 85 મેટ્રિક ટન જથ્થો અપાય છે. ઉપરાંત પણ ખાનગી હોસ્પિટલોને પણ જરૃરિયાત મુજબ આ કંપનીમાંથી ઓકિસજન અપાય છે. હજુ સુધી ફરિયાદો આવી નથી. દરમિયાન વહીવટીતંત્ર દ્વારા આ કંપની પાસે 120 મેટ્રિક ટન ઓકિસજનની માંગ કરી હતી. જેની સામે ફકત સિવિલ અને સ્મીમેર માટે જ 86 મેટ્રિક ટન ઓકિસજન સપ્લાય કરી બાકીનો જથ્થો અન્યત્ર સપ્લાય થશે એમ કહી દેવાતા સ્થાનિક વહીવટીતંત્રએ આક્રમક પ્રતિક્રિયા આપી છે. સુરતમાં કોવિડ ડયૂટીમાં સ્પેશિયલ ઓફિસર તરીકે ફરજ બજાવતા એમ.થેન્નારસને વહીવટી તંત્રને આદેશ કર્યો હતો કે જયાં સુધી સુરતની જે 120 મેટ્રિક ટનની માંગણી છે તે મુજબ કંપનીમાંથી જથ્થો નહી ફાળવાય ત્યાં સુધી બીજી જગ્યાએ ઓક્સિજન જવો જોઇએ નહી.