શહેરમાં ફરી સિટી બસ ચાલકની બેદરકારી સામે આવી છે. એક સિટી બસે રોડ પર ચાલી રહેલી જૈન સાધ્વીને ટક્કર મારતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતની જાણ થતાં સમગ્ર જૈન સમાજમાં શોક અને રોષનું મોજુ ફરી વળ્યું હતું.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરતના ચોક બજાર વિસ્તારમાં મક્કાઈપુલ પાસે સિટી બસે જૈન સાધ્વીને ટક્કર મારી હતી. જૈન સાધ્વી ગુરુના અંતિમ દર્શન કરવા પગપાળા જઈ રહ્યા હતા.
ગયા મહિને પણ શહેરના રીંગ રોડ માર્કેટ વિસ્તારમાં સિટી બસે યુવકના બાઇકને ટક્કર મારી હતી, જેમાં યુવકનું પણ ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતક યુવકની પત્ની 9 માસનો ગર્ભવતી હતી. પરિવારમાં નવા મહેમાનના આગમન પહેલા જ પરિવારનો દીવો બુઝાઈ ગયો હતો. આ ઉપરાંત સિટી બસ ચાલકોની બેદરકારીને કારણે દર અઠવાડિયે અકસ્માતના કિસ્સાઓ સામે આવતા રહે છે.