ગુજરાત કોંગ્રેસ દ્વારા નવી નિમણૂંકોનો દોર શરુ કરવામાં આવ્યો છે. તેમા સુરત કોંગ્રેસના માઈનોરીટી સેલમાં નવી નિમણૂંક કરવામાં આવી છે. આ નિમણૂંકમાં ઉડીને આંખે વળગે તેવી વાત એ છે કે એક નહીં બબ્બે કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે. આમાં એવું કહેવાય છે કે સુરતમાં વર્ષોથી એકચક્રી રીતે ચાલી રહેલા ગોડફાધરીયા કલ્ચર પર મોટી કાતર ફેરવવામાં આવી છે.
સુરત માઈનોરીટી સેલમાં કાર્યકારી પ્રમુખ તરીકે મુકદ્દર રંગુનીની સાથે પૂર્વ કોર્પોરેટર લાલખાન પઠાણની પણ વરણી કરવામાં આવી છે. લાલ ખાન પઠાણ કદીર જૂથના મનાય છે. અત્યાર સુધી સુરત કોંગ્રેસમાં માઈનોરીટીના મામલે કદીર જૂથનો હાથ ઉપર રહેતો હતો. પરંતુ માઈનોરીટી સેલમાં કાર્યકારોની માંગ અને નેતાઓની એક રીતે બેલેન્સ રાખવાની નીતિના કારણે કદીર જૂથના સિનિયર નેતાની સમાંતરે યુવા તરીકે અસલમ (મુકદ્દર) રંગુનીને પણ કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે. આવી રીતે પ્રદેશ કોંગ્રેસે માઈનોરીટી સેલમાં યુવા નેતાની વરણી કરીને યુવાઓને તક આપવામાં આવી રહી હોવાનો સંદેશો આપ્યો છે.
મુકદ્દર રંગુનીની વાત કરીએ તો તેઓ સામાજિક કાર્યોમાં સતત સક્રીય રહે છે. પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાની સાથે ચાલે છે.જોકે, માઈનોરીટીમાં બબ્બે પ્રમુખ બનાવવામાં આવ્યા છે તે પ્રશ્ન પણ ચર્ચાઈ રહ્યો છે. એક જ પ્રમુખથી કામ ચાલી શકાતું હતું. આ પહેલાં હાજી ચાંદીવાલા પ્રમુખ હતા. હાજી ચાંદીવાલાના અનુગામી તરીકે બબ્બે જણાને કાર્યકારી પ્રમુખ બનાવવામાં છે.