સુરતઃ સચિન જીઆઈડીસીમાં એક વર્ષ પહેલા ટેન્કરમાંથી ઝેરી કેમિકલ ઠાલવવામાં આવતા છ લોકોના શ્વાસ રૂંધાવાથી મોત થયા હતા. આ ગંભીર ઘટનાનો મામલો NGT સુધી પહોંચ્યો હતો. અને પછી તપાસ દરમિયાન કંપનીના માલિક સહિત ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા ટેન્કર ચાલકની ક્રાઈમ બ્રાંચે ભીલાડમાંથી ધરપકડ કરી છે.
બબલુ પાલ ભીલાડથી મુંબઈના મીરા રોડ તરફ ટ્રક ચલાવતી વખતે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.
એક વર્ષ પહેલા, વિશ્વપ્રેમ મિલ પાસે ટેન્કરમાંથી કેમિકલ પમ્પ કરવામાં આવી રહ્યું હતું ત્યારે સચિન જીઆઈડીસીમાં ગેસ લીક થવાથી 6 લોકોના મોત થયા હતા જ્યારે 23 લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે તપાસ દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચે કુલ 14 આરોપીઓની ધરપકડ કરી હતી. તમામ આરોપીઓ સામે 3715 પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. દરમિયાન આ ગુનામાં કુલ ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે.
બબલુ કેમિકલ વેસ્ટ મુંબઈથી સુરત લાવતો હતો.
મુંબઈની કંપનીઓમાંથી ઝેરી કચરો પ્રથમ અંકલેશ્વર અને પછી સુરત લઈ જનાર ટેન્કર ચાલક અમરનાથ ઉર્ફે બબલુ ભાગેલુરામ પાલ (ઉંમર 35) (રહે. પંકર પાડા, મીરા રોડ, મુંબઈ)ની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે તે હાલ વલસાડના ભીલાડ ખાતે છે. જેના આધારે ડીસીબીએ વલસાડના ભીલાડ પાસે પેટ્રોલીંગ કરીને બબલુ પાલને પકડી પાડ્યો છે. બબલુ મુંબઈથી સુરત કચરો લાવતો હતો. તે સુરતમાં મુખ્ય આરોપી સંદીપ ગુપ્તાને પણ મળ્યો હતો.