સુરતના અલથાણ કેનાલ રોડ પર રહેતા એક શિક્ષકે ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પત્ની, બાળકો અને પરિવારના સભ્યો સામાજિક કાર્ય માટે બહાર ગયા હતા. યુવાન શિક્ષકે ક્યા કારણોસર આપઘાત કર્યો તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ખટોદરા પોલીસે આપઘાતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બનાવની મળતી માહિતી મુજબ સુરતના અલથાણ કેનાલ રોડ સ્થિત શાલિની એવન્યુના ફ્લેટ નંબર A-503માં નીતિનભાઈ જશુભાઈ પટેલ તેમની પત્ની, બે પુત્રી અને માતા-પિતા સાથે રહે છે. તે એક ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતો હતો.
શિક્ષક તરીકે ફરજ બજાવતા નીતિનભાઈ પટેલનો પરિવાર રવિવારે મોડી સાંજે સ્વાધ્યાય કાર્યક્રમમાં ગયો હતો. કાર્યક્રમમાંથી માતા-પિતા, બે પુત્રી અને પત્ની ઘરે આવ્યા અને દરવાજો ખોલ્યો તો નીતિનભાઈને લટકેલા જોતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. નીતિનભાઈની બે નાની દીકરીઓએ નાની ઉંમરમાં પિતા ગુમાવ્યા છે.
નીતિનભાઈ પટેલના આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. આપઘાત સાથે કોઈ સુસાઈડ નોટ મળી નથી. તેને કોઈપણ પ્રકારની આર્થિક સમસ્યા ન હતી. પરિવાર સાથે કોઈ ઝઘડો કે તકરાર ન હોવા છતાં નીતિનભાઈએ આત્મહત્યા કરી લેતા આ અંગે સવાલો ઉઠી રહ્યા છે. નીતિનભાઈના આ પગલાથી પરિવાર પણ આશ્ચર્યમાં છે.