સુરતના નાના વરાછા વિસ્તારમાં ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ અંતિમ તપાસ સહિતની કાર્યવાહી શરૂ કરી છે. વિદ્યાર્થીનીએ શા માટે આત્મહત્યા કરી તે જાણી શકાયું નથી. હાલ કાપોદ્રા પોલીસે સમગ્ર મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સુરતમાં જેમ જેમ વાર્ષિક પરીક્ષાની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ વિદ્યાર્થીઓના આપઘાતના વધુ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સુરતના નાના વરાછામાંથી ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાત કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નાના વરાછા વિસ્તારમાં આવેલી હાઉસિંગ સોસાયટીમાં રહેતા સુરેશભાઈ વેગડ તેમની પત્ની, એક પુત્ર અને એક પુત્રી સાથે રહે છે. સુરેશભાઈ વરાછામાં મોટરસાઈકલ ગેરેજ ચલાવીને પરિવારનું ભરણપોષણ કરે છે. તેમની 17 વર્ષની પુત્રી સુમિતા વરાછાની એક શાળામાં ધોરણ 11માં અભ્યાસ કરતી હતી. ગુરુવારે વહેલી સવારે પુત્રીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
પરિવાર સૂતો હતો ત્યારે સુમિતાએ સવારે 5 વાગ્યાની આસપાસ રસોડામાં જઈને આત્મહત્યા કરી લીધી હતી. તેણે રસોડાની છતમાં લગાવેલા હૂકમાંથી દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. પુત્રીએ લીધેલા આ પગલાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.
વહેલી સવારે જાગીને માતા રસોડામાં ગઈ ત્યારે પુત્રીને લટકતી જોઈ પરિવારના સભ્યોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. સગાંવહાલાં રડવા લાગ્યાં. અભ્યાસમાં હોશિયાર દીકરીના આકસ્મિક મોતથી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. બનાવની જાણ થતાં કાપોદ્રા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. હજુ સુધી વિદ્યાર્થીની આસપાસ કોઈ સુસાઈડ નોટ કે આત્મહત્યા પાછળનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પોલીસે વિદ્યાર્થીની લાશને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે તેણે ક્યા કારણોસર આપઘાત કર્યો તે હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.