સુરતઃ કોરોનાના કપરા સમયમાં રેમડેસિવીર ઈન્જેક્શનની માંગ વધતા આ ઈન્જેક્શનની કાળા બજાર કરવા લોકો અચકાતા નથી. ત્યારે તાજેતરમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે રેમડેસિવીર ઇન્જેક્શનની કાળાબજાર કરનાર છ લોકોની પોલીસે ધરપકડ કરી હતી. આ મામલે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે ચાર આરોપીને જેલના હવાલે કરી દીધા હતા. હાલ કોરોના મહામારી વચ્ચે તબીબોની જરૂર હોવાને કોર્ટે બંને આરોપી તબીબોને કોવિડ હૉસ્પિટલમાં 15 દિવસ સેવા આપવાની શરત સાથે જામીન આપ્યા હતા. જો, બંને ડૉક્ટર કોવિડ હૉસ્પિટલમાં સેવા નહીં કરે તો તેમના જામીન નામંજૂર કરવાનો આદેશ કોર્ટે કર્યો છે. રેમડેસિવીર ઇન્જેક્શનના કાળાબજાર મામલે આ પ્રકારની સજા પ્રથમ વખત ફટકારવામાં આવી છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચે રેમડેસિવીરની કાળાબજારી કરનારા કુલ છ આરોપીની ધરપકડ કરી હતી. જેમાં ડૉક્ટર ઉપરાંત આરોપી જેનિશ કાકડિયા, ભદ્રેશ નાકરાણી અને જૈમિશ જીકાદરાની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી જૈનિશ કાકડિયા તેના સાગરિતો સાથે રેમડેસિવીર ઇન્જેકશનની કાળાબજારી કરી રહ્યો છે. આરોપી જૈનિશનો પીછો કરીને પોલીસે ત્રણ ઇન્જેક્શન કબજે લીધા હતા. આ ઇન્જેકશન ભદ્રેશ નાકરાણી પાસે 39 હજારમાં લીધા હોવાનું કબૂલ્યું હતું. આ રૂપિયા એપ્લિકેશન મારફતે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તપાસ આગળ વધતાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.
આ મામલે કોર્ટે પોતાના ચુકાદામાં ઉમેર્યું હતું કે, કોવિડ સ્થિતિમાં ડૉકટરોની અછત છે. આ સમયે જો આરોપીને જામીન પર મુક્ત કરાય તો તેઓ કોરોના દર્દીઓની સારવાર કરી શકે છે. આથી નામદાર કોર્ટે બંને ડૉક્ટરોને જેલમાં મોકલવાને બદલે સુરત હૉસ્પિટલમાં ફરજ બજાવવા માટે હુકમ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે હાલ કોરોના સંક્રમણના કારણે મેડિકલ સ્ટાફની પણ અછત છે. આ ડૉક્ટરોને સજાના ભાગરૂપે 15 દિવસ સુધી કોવિડ-19 હૉસ્પિટલમાં ફરજ બજાવવાની રહેશે. તેઓએ 15 દિવસ દરમિયાન કરેલી કામગીરી અંગે રિપોર્ટ તૈયાર કરીને કોર્ટમાં સોંપવાનો રહેશે. આ સાથે જ કોર્ટે બંને આરોપી ડૉક્ટરોને રૂપિયા 15,000ના બોન્ડ જમા કરાવવા માટે આદેશ કર્યો છે. સાથે સાથે કેટલીક મહત્વની શરતો પણ કરવામાં આવી છે.
કોર્ટની શરત પ્રમાણે 15 દિવસ દરમિયાન બંને ડૉક્ટર ગુજરાતની બહાર નહીં જઈ શકે. બંનેએ એફિડેવિટમાં જે સરનામું રજૂ કર્યું છે, ત્યાં જ રહેવું પડશે. બંને સરનામું પણ બદલી નહીં શકે. આ સાથે જ રજીસ્ટર મોબાઇલ નંબરનો ઉપયોગ કરવાનો રહેશે. કોર્ટના આદેશ બાદ બંને તબીબોએ ફક્ત 15 દિવસ જ નહીં પરંતુ જરૂર હોય ત્યાં સુધી સેવા આપવાની તૈયારી બતાવી છે.