વેપારીનો પરિવાર સાથે આપઘાત
સુરતમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં ટેક્સટાઈલના વેપારીએ પત્ની અને દીકરા સાથે 12મા માળના અપાર્ટમેન્ટ પરથી પડતું મૂક્યું છે, જેમાં ત્રણેયના મોત નીપજ્યા છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, વિજય વઘાસિયા નામના આ વેપારીએ આર્થિક સંકડામણથી કંટાળી જઈને આ અંતિમ પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
વિજય વઘાસિયાએ આ અંતિમ પગલું ભરતા પહેલા લખેલી સ્યૂઈસાઈડ નોટ પોલીસને મળી આવી છે. જેમાં તેમણે પોતે આર્થિક સંકડામણથી કંટાળી આપઘાત કરી રહ્યા છે તેમ જણાવ્યું છે. તેમણે એમ પણ લખ્યું છે કે, તેમને ખૂબ દેવું થઈ ગયું છે જેને તેઓ ભરપાઈ કરવા સક્ષમ નથી. સ્યૂઈસાઈડ નોટમાં તેમણે પોતાના ભાઈ અને માતાપિતાને મદદ કરવા માટે પણ અપીલ કરી છે.
એવું પણ જાણવા મળી રહ્યું છે કે, ગાર્મેન્ટ શોપ ધરાવતા વિજય વઘાસિયા સિઝનલ બિઝનેસ પણ કરતા હતા, અને તેઓ પોતાના પરિવારની જરુરિયાતો પૂરી કરવા માટે સક્ષમ હતા. જોકે, કયા સંજોગોમાં તેમને દેવું થઈ ગયું અને જેમની પાસેથી તેમણે પૈસા લીધા હતા તેમના દબાણથી તેમને આપઘાત કરવો પડ્યો છે કે કેમ તેની તપાસ પણ પોલીસ કરી રહી છે.
શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા મજેસ્ટિકા હાઈટ્સમાં વિજય વઘાસિયા પોતાના પત્ની અને દીકરા સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા. ટેક્સટાઈલ બિઝનેસ સાથે સંકળાયેલા વઘાસિયાએ આજે સવારે પોતાની પત્ની અને એકના એક દીકરા સાથે 12મા માળેથી મોતની છલાંગ લગાવી હતી. ખૂબ જ ઉંચાઈ પરથી પટકાયા હોવાના કારણે વઘાસિયા પરિવારના ત્રણેય સભ્યોના ઘટનાસ્થળ પર જ મોત થયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ અમરેલીના રહેવાસી વઘાસિયા એકાદ મહિના પહેલા જ અહીં રહેવા આવ્યા હતા. તેઓ રેડિમેડ કપડાનો શોરુમ ધરાવતા હતા, તેમજ એક સહકારી મંડળીના ચેરમેન પણ હતા. એક જ પરિવારના ત્રણ સભ્યોએ એકસાથે આપઘાત કરી લેતા સોસાયટીના રહીશોને પણ મોટો આંચકો લાગ્યો છે.
પોલીસ સૂત્રોના હવાલેથી હાલ મળતી માહિતી અનુસાર, વિજયભાઈ આજે સવારે છ વાગ્યે મોર્નિંગ વોક કરીને આવ્યા હતા. તેઓ વહેલી સવારે જ પોતાની પત્ની અને એકના એક દીકરા સાથે ફ્લેટના ધાબે પહોચ્યા હતા, અને ત્યાંથી ત્રણેય જણે મોતની છલાંગ લગાવી હતી. ચોંકાવનારી વાત એ છે કે, તેઓ આજે પરિવાર સાથે નવ વાગ્યાની ટ્રેનમાં મુંબઈ જવાના હતા, અને તેના માટે તેમણે ટિકિટો પણ બુક કરાવી રાખી હતી.
પોલીસે વિજયભાઈએ કયા સંજોગોમાં આપઘાત કર્યો છે તેની તપાસ શરુ કરી દીધી છે. શું તેમણે આર્થિક સંકડામણને કારણે આ આકરું પગલું ભર્યું કે પછી બીજા કોઈ કારણોસર તેઓ પરિવાર સાથે આપઘાત કરવા મજબૂર બન્યા તે જાણવા પોલીસ તપાસ કરી રહી છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.