ગુજરાતનું (gujarat) આર્થિક પાટનગર ગણાતા સુરત શહેરમાં હવે ચીટિંગ કરનારા સામે કડક કાર્યવાહી કરવાની શરૂઆત થઇ ગઇ છે. થોડા દિવસો પહેલા જ મુખ્યમંત્રીના આદેશ બાદ સુરતમાંથી વેપારીઓને તડીપાર કરવાની શરૂઆત કરવામાં આવી છે. બે થી વધુ ચીટિંગની ફરિયાદમાં સુરતના ટેક્સટાઇલ માર્કેટના (Surat Textile Market) વેપારી કમ કાપડ દલાલને તડીપાર (deported) કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
સુરતના કાપડ માર્કેટમાં કરોડો-અબજો રૂપિયાનો કાપડનો વેપાર થાય છે, આ સાથે જ કાપડના વેપારીઓ સાથે જ પરિચીત વેપારીઓ તેમજ સુરત અને સુરતની બહારના વેપારીઓ પણ ચીટિંગ કરવામાં અચકાતા નથી. ક્યારેક આર્થિક તંગીથી ચીટિંગ થાય છે તો ઘણીવાર વેપારીઓ-કાપડ દલાલો ભેગા થઇને મોટું ચીટિંગ કરતા હોય છે. આવા ઘણા બધા કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાયા બાદ આવી ઠગાઇને રોકવા માટે થોડા દિવસો પહેલા જ એક વટહુકમ બહાર પડાયો હતો જેમાં વધારે ઠગાઇ કરનાર વેપારીઓ કે જેઓની સામે બે થી વધુ ફરિયાદ હોય તેઓને તડીપાર કરતો હુકમ કરવા જણાવાયું હતું. આવા જ એક કેસમાં સુરતના વેપારીને તડીપાર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં નવા વટહુકમ બાદ સૌપ્રથમવાર આવો હુકમ કરાયો હોવાનું જાણવા મળ્યુ છે. પ્રાપ્ત વિગતો મુજબ સહારા દરવાજા પાસે સૂર્યનગર સોસાયટીમાં સુંદરમ એપાર્ટમેન્ટમાં તુલસી ટેક્સટાઇલના નામથી વેપાર કરતા વેપારી સંતોષ દેવીલાલ જૈને કાપડ વેપારી લલીત ગોપાલચંદ અગ્રવાલની સાથે ઠગાઇ થઇ હતી. લલીતઅગ્રવાલ ઉપરાંત વેપારી ભૈરવ દેસાઇ તેમજ અન્ય વેપારીઓ સાથે મળીને કુલ્લે 35 લાખથી વધુની ઠગાઇની ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં લલીત અગ્રવાલના વકીલ વિરલ મહેતાએ કોર્ટમાં રજૂઆતો કરી હતી આ સાથે જ વેપારી સંતોષ જૈનએ અન્ય વેપારીઓની સાથે પણ પ્રિપ્લાનીંગ ઠગાઇ કરી હોવાની પોલીસ મથકમાં પણ રજૂઆતો કરી હતી.