સુરતના લિંબાયત ગોડાદરા ખાતે રહેતા શેરદલાલના પત્ની ગત સાંજે ઘરે એકલા હતા ત્યારે ડોરબેલ વાગતા તેમણે દરવાજો ખોલ્યો તે સાથે જ બે અજાણ્યા તેમના મોઢા ઉપર સ્પ્રે છાંટી ઘરમાં ઘુસી ગયા હતા અને રસોડામાં રાખેલા બોક્સમાંથી રૂ.40,000 ના રૂ.20 અને રૂ.10 ની નવી નોટના 30 બંડલ લઈ ફરાર થઈ ગયા હતા. તેઓ નીકળતા હતા તે સમયે શેરદલાલના પત્ની ભાનમાં આવતા ફરી તેમણે સ્પ્રે છાંટ્યું હતું. આ બનાવ પાછળ મહિલાએ વતન બિહારમાં દહેજનો કેસ કરનાર પુત્રવધૂના પરિજનોની સંડોવણીની આશંકા વ્યક્ત કરી છે.
પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બિહારના વતની અને છેલ્લા ૨૫ વર્ષથી સુરતમાં લિંબાયત ગોડાદરા ક્રિષ્નાનગર 2 પ્લોટ નં.186માં રહેતા અજયકુમાર રામાવતાર પાંડે શેરદલાલ તરીકે કામ કરે છે. તેમનો મોટો પુત્ર અંકિત (ઉ.વ.26) મોબાઈલ શોપ ધરાવે છે. જયારે નાનો પુત્ર અમિત ( ઉ.વ.24 ) માર્કેટમાં મજૂરીકામ કરે છે.
ગતરોજ પિતા-પુત્રો પોતપોતાના કામ ઉપર હાજર હતા અને અજયકુમારના પત્ની ચંચલાદેવી (ઉ.વ.45) ઘરે એકલા હતા ત્યારે સાંજે 7 વાગ્યે ડોરબેલ વાગતા તેમણે દરવાજો ખોલ્યો તે સાથે જ 25થી 28 વર્ષીય બે અજાણ્યા તેમના મોઢા ઉપર સ્પ્રે છાંટી ઘરમાં ઘુસી ગયા હતા. અર્ધબેભાન ચંચલાદેવીએ બંનેને વચ્ચેના રૂમમાં જતા અને હિન્દીમાં નહીં હે તો આગ લગા દે તેવી વાત કરતા સાંભળ્યા હતા. બાદમાં તે બેભાન થઈ ગયા હતા. તે જયારે ભાનમાં આવ્યા ત્યારે બંનેએ તેમના મોઢા ઉપર ફરી સ્પ્રે છાંટ્યું હતું. આથી તે ફરી બેભાન થઈ ગયા હતા.
રાત્રે 8:30 કલાકે તેમના પતિએ આવી જગાડતાં તેમણે સમગ્ર ઘટનાની વાત કરી હતી. બાદમાં તેમણે ઘરમાં તપાસ કરી તો રસોડામાં રાખેલા બોક્સમાંથી રૂ.20 ના દરની નવી નોટના 10 બંડલ અને રૂ.10ના દરની નવી નોટના 20 બંડલ મળી કુલ રૂ.40,000 ની લુંટ થયાની જાણ થઇ હતી.
આ અંગે ચંચલાદેવીએ મોડીરાત્રે બે અજાણ્યા વિરુદ્ધ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ચંચલાદેવીએ તેવી આશંકા પણ વ્યક્ત કરી હતી કે આ લુંટ વતન બિહારમાં એક વર્ષ અગાઉ દહેજની ફરિયાદ નોંધાવનાર તેમની પૂત્રવધૂના પરિજનોએ કરી છે, વધુ તપાસ પીઆઈ વી એમ મકવાણા કરી રહ્યા છે.