હાલમાં ફેક ન્યુઝથી કેટલાક લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. તેમજ Whatsapp પોતાના પ્લેટફોર્મ પર ફેલાતા ખોટા સમાચારને રોકવામાં અસમર્થ રહી હોવાનો આરોપનો સામનો કરી રહી છે. જેને પગલે કંપનીએ ભારતમાં લોકોને ફેક સમાચાર અંગે જાગૃત કરવા માટે ટીવી કેમ્પેન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
કંપનીએ કહ્યું છે કે આ નિર્ણય 2019 લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીન ફેક સમાચારને વોટ્સએપ પર ફેલાતા રોકવા માટે લેવામાં આવ્યો છે. આ અગાઉ લોકોને ફેક સમાચારો અને અફવાઓ અંગે જાગૃત કરવા માટે કંપનીએ બે તબક્કામાં રેડિયો કેમ્પેન પણ શરૂ કર્યુ હતું. 29 ઓગષ્ટથી શરૂ થયેલા પ્રથમ તબક્કામાં કંપનીએ ઑલ ઈન્ડિયા રેડિયોના 46 રેડિયો સ્ટેશન પર પોતાનું કેમ્પેન ચલાવ્યું હતુ.
ત્યારબાદ 5 સપ્ટેમ્બરથી કંપનીએ AIRના અન્ય 83 રેડિયો સ્ટેશન પર પોતાનું કેમ્પેન ચલાવ્યું હતુ. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે તેણે ભારતમાં પોતાના વપરાશકારો પર ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે અને જેના આધારે ત્રણ ટીવી જાહેરાતો તૈયાર કરી છે.
કંપનીએ કહ્યું, ત્રણ જાહેરાતો ટેલીવિઝન, ફેસબુક અને યૂટ્યુબ પર નવ ભાષાઓમાં તૈયાર થશે તથા તેની પહોંચ બધા વ્હોટ્સએપ વપરાશકારો સુધી થશે. જેનું પ્રસારણ રાજસ્થાન અને તેલંગાણામાં ચૂંટણી પહેલા શરૂ થઇ જશે.