દિવસે ને દિવસે ટેક્નોલોજીના ક્ષેત્રે ભારત હરણ ફાળ ભરી રહ્યું છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન દેશના સેટેલાઇટ લૉન્ચ સિસ્ટમમાં હવે મોટી ક્રાંતિ લાવવાની તૈયારીમાં છે. ઇસરો હાલમાં એક નાનકડા લૉન્ચ વ્હિકલને તૈયાર કરવામાં લાગી ગયું છે, જેને માત્ર ત્રણ દિવસમાં જ એસેમ્બલ કરી શકાશે. પીએસએલવી જેવા રોકેટ્સને તૈયાર કરવામાં સામાન્ય રીતે 30થી 40 દિવસ લાગી જાય છે, એવામાં ઇસરોના આ પ્રયાસ સેટેલાઇટ લોન્ચિંગની દિશામાં મોટી ક્રાંતિ જેવો હશે. એટલું જ નહીં રોકેટને તૈયાર કરવામાં પીએસએલવીની સરખામણીમાં 10 ટકા રકમ જ ખર્ચ થશે.
ભારતે ઉત્તરી અક્ષાંશમાં એવા કેટલાંય સેટેલાઇટ્સ સ્થાપિત કર્યાં છે, જે અર્થ ઇમેજિંગ અને મોસમની માહિતી આપે છે. આ મિની પીએસએલવીનું વજન 100 ટન હશે. આની પહેલાં સામાન્ય પીએસએલવીનું વજન 300 ટન સુધી હતું. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઇસરોના ચેરમેન એ.એસ.કિરણકુમારે નિવેદન રજૂ કરીને કહ્યું હતું કે અમે અંતરિક્ષ અભિયાનોની ખોટને ઓછી કરવાની કોશિષમાં લાગ્યા છીએ.
આ પ્રોજેક્ટ ટૂંક સમયમાં લોન્ચ થશે જે અંતર્ગત હવે માત્ર ત્રણ દિવસમાં જ રોકેટને એસેમ્બલ કરી શકાશે.