Tribal rehabilitation Gujarat: હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ખેતીલાયક જમીન અને આવાસની સુવિધા મળી
Tribal rehabilitation Gujarat: બનાસકાંઠાના દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામમાંથી 13 વર્ષ અગાઉ ‘ચડોતરું’ નામની પ્રથાને કારણે સ્થળાંતર કરેલા 29 આદિવાસી પરિવારો હવે ફરીથી પોતાના વતન પરત ફરી રહ્યા છે. આ પરિવારોની વતન વાપસી રાજ્ય સરકાર અને જિલ્લા તંત્રના સંકલિત પ્રયાસોથી શક્ય બની છે.
આ પરિવારો પાસે ગામમાં 8.5 હેક્ટર જમીન હોવા છતાં વર્ષો સુધી અન્યત્ર રહેવા મજબૂર હતા. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા પોલીસ અને વહીવટી તંત્રે આ પરિવારોની વિગતો એકઠી કરી અને સ્થાનિક ગ્રામ પંચાયત તથા સમુદાય આગેવાનો સાથે ચર્ચા કરીને સમાધાન લાવ્યું.
આ પરિણામે આ પરિવારો માટે કૃષિ લાયક જમીન તૈયાર કરવામાં આવી છે. ડીઆઈએલઆર વિભાગ દ્વારા જમીન માપી સમતળ બનાવી દેવામાં આવી છે. સાથે જ, સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નવા મકાન પણ ઊભા કરવામાં આવશે. પહેલાથી જ બે પરિવારો માટે ઘરો તૈયાર થઈ ગયા છે અને બાકી માટે ટૂંક સમયમાં કામ શરૂ થશે.
આ વિસ્થાપન નિવારણ માત્ર પુનર્વસન પૂરતું નહીં, પણ આદિવાસી સમાજમાં રહેલા કુરિવાજ વિરુદ્ધ લડત અને સામાજિક સંકલનનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે. આવતીકાલે હર્ષ સંઘવીના હસ્તે પુનર્વસન પ્રક્રિયાની ઔપચારિક શરૂઆત થશે, જ્યાં જમીનપૂજન અને બીજ વાવેતર થવાથી પરિવારો નવા જીવનની શરૂઆત કરાશે.
આ ઘટના સમગ્ર ગુજરાત માટે એક મજબૂત સંદેશ આપે છે કે સંવેદનશીલ પ્રશાસન અને સહયોગી સમાજ સાથે મળીને દૂરતમ પરિવારોને પણ ન્યાય મળી શકે છે.