કર્ણાટકમાં દિન પ્રતિદિન કોરોનાનો ભરડો વધતો જઇ રહ્યો છે ત્યારે રાજ્યની ભાજપ સરકારે 14 દિવસના કડક લોકડાઉનની જાહેરાત કરી છે. લોકડાઉન દરમિયાન ફક્ત સવારે 6 થી 10 વાગ્યા દરમિયાન 4 કલાક સુધી જ બજારો ખુલ્લા રહેશે. માત્ર ઔદ્યોગિક અને બાંધકામને મંજૂરી આપવામાં આવી છે. તે સિવાય સમગ્ર રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન રહેશે.
એક તરફ વડાપ્રધાન મોદી લોકડાઉનને અંતિમ વિકલ તરીકે ગણવાનું કહે છે ત્યારે કોરોનાના એકધારા વધી રહેલા કેસોના કારણે એક પછી એક રાજ્યો લોકડાઉન લગાવતા જાય છે ત્યારે એએનઆઈના રિપોર્ટ મુજબ આવતીકાલથી આગામી 14 દિવસ માટે સમગ્ર કર્ણાટકમાં પણ સંપૂર્ણપણે કડક લોકડાઉન રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી, રાજસ્થાન, ઝારખંડ તેમજ મહારાષ્ટ્ર જેવાં વિપક્ષ શાસિત અસરગ્રસ્ત રાજ્યો કોરોનાના વધતા ચેપના કારણે પહેલાંથી જ લોકડાઉન લગાવી ચુક્યા છે. તો હવે ભાજપ શાસિત કર્ણાટકે પણ લોકડાઉન લગાવવા પહેલ કરી છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં કર્ણાટક સહિત મહારાષ્ટ્ર, રાજધાની દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ દરરોજ કોરોનાના રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે આ ઉપરાંત કોરોનાના દૈનિક કેસમાંથી 80 ટકા કેસ 10 રાજ્યોમાંથી જ છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. જેમાં દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને હવે કર્ણાટકમાં લોકડાઉન લાગી ચૂક્યું છે. ત્યારે હવે એ જોવું રસપ્રદ રહેશે કે બીજાં અસરગ્રસ્ત રાજ્યો કે જેની હાલત છે અત્યંત ખરાબ છે તે કોરોનાના અજગર ભરડાને રોકવા લોકડાઉન લગાવશે કે પછી બીજાં કોઈ નક્કર પગલાં ભરે છે.