નાણાકીય વર્ષ 2018-19માં ગુજરાત રેરા ઓથોરિટીમાં 72043 કરોડના 2,951 પ્રોજેક્ટ્સ લોંચ થયા હતા, જ્યારે 2019-20ના વર્ષમાં 34887 કરોડના 1,280 પ્રોજેક્ટ્સ લોંચ થયા છે. ચાલુ નાણાંકીય વર્ષ 2020-21માં પ્રથમ છ મહિનામાં નવા પ્રોજેક્ટ લોન્ચ થવાની સંખ્યામાં ચોંકાવનારો ઘટાડો જોવા મળ્યો છે. હાલ જે કોઇ પ્રોજેક્ટ ચાલે છે તે ઓનગોઇંગ સ્કીમો છે. બિલ્ડરો અને ડેવલપર્સે નવી સ્કીમો લોંચ કરી નથી.
રેરાનાં સૂત્રોના જણાવ્યા મુજબ કેલેન્ડર વર્ષના હિસાબે 2020નું વર્ષ નવા રજિસ્ટ્રેશનના મામલે મોટો ઘટાડો દર્શાવે છે. 2017ના ઓગસ્ટ મહિનામાં રેરાનો અમલ શરૂ થયા બાદ ડિસેમ્બર અંત સુધીમાં 1,161 પ્રોજેક્ટ્સ રજિસ્ટર્ડ થયા હતા અને 2018માં સમગ્ર વર્ષ દરમિયાન 3,356 પ્રોજેક્ટ્સ નોંધાયા હતા. 2019ના કેલેન્ડર વર્ષમાં નવેમ્બર સુધીમાં1,868 પ્રોજેક્ટ્સ નોંધાયા છે. 2020ના વર્ષમાં રજીસ્ટ્રેશન ઠપ્પ થયેલું જોવા મળે છે.
અમદાવાદમાં ગયા વર્ષે 13491 કરડોના 378 પ્રોજેક્ટ શરૂ થયા હતા જે અગાઉના વર્ષની સરખામણીએ 50 ટકા છે, જ્યારે 2020ના વર્ષમાં નવા પ્રોજેક્ટની સંખ્યા 150થી વધુ થઇ શકી નથી. રાજ્યના વિવિધ શહેરોમાં નવા વર્ષે જે પ્રોજેક્ટ લોંચ થયાં છે તે માત્ર જાન્યુઆરી અને ફેબ્રુઆરીના આંકડા છે. કોરોના સંક્રમણના કારણે માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઇમાં નવા પ્રોજેક્ટની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય તેવી છે. બુકીંગ અને ખરીદારી નહીંવત હોવાથી બિલ્ડરોએ નવી સ્કીમોમાં રસ દાખવ્યો નથી.
ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઉસિંગ એન્ડ એસ્ટેટ ડેવલપર્સ (ગાહેડ-ક્રેડાઇ) કહે છે કે વૈશ્વિક આર્થિક મંદીનો સમય અને કોરોના સંક્રમણ જેવા બે મોટા પરિબળો રિયલ એસ્ટેટને નડી રહ્યાં છે. લોકોની ખરીદશક્તિ ઘટી છે. નોકરીઓ જવાથી બેકારી વધી છે અને નવી સ્કીમો માટે બુકીંગ પણ જોવા મળતા નથી. હાલ જે પ્રોજેક્ટ ઓનગોઇંગ છે તે હાઉસિંગ લોનના અભાવે પૂર્ણ કરવા પણ કઠીન છે.
જાણીતા બિલ્ડર જગત કારણી કહે છે કે માર્કેટમાં લિક્વિડિટીની અછત છે અને છેલ્લા છ મહિનામાં મોટા પ્રમાણમાં જમીનના સોદા પણ થયા નથી. ઇન્વેન્ટરીનું પ્રમાણ ઘટી રહ્યું છે તે સારી નિશાની છે. જીએસટીમાં બદલાવ અને પ્લાન પાસિંગ સિસ્ટમમાં ફેરફારની પણ અસર બજારમાં જોવા મળી છે. કોરોના સંક્રમણના કારણે લોકો હોમલોન લેવાની હિંમત કરી શકતા નથી તેથી બુકીંગ અને ખરીદશક્તિ ઓછી છે. અમારા મતે નવી સ્કીમોનું લોચીંગ કરવામાં આ સૌથી નબળું વર્ષ છે.