સોમનાથ મંદિરની સુરક્ષામાં ફરજ બજાવતા પી.આઈ.રાઠવા ને હૃદય રોગનો હુમલો આવતા જ મંદિર પરિસરમાં જ અંતિમશ્વાસ લીધા !
સોમનાથ મંદિર સુરક્ષામાં ફરજ બજાવી રહેલા એક પોલીસ ઈન્સપેક્ટરનું આજે ચાલુ ફરજ દરમિયાન હ્રદય રોગનો હુમલો આવવાના કારણે નિધન થતા પોલીસબેડામાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પીઆઈ જી.એમ.રાઠવા 1990થી પોલીસ વિભાગમાં ફરજ બજાવી રહ્યા હતા.
ચાર મહિનાથી સોમનાથ મંદિર સુરક્ષામાં ફરજ બજાવતા હતા
છેલ્લા ચારેક માસથી સોમનાથ મંદિરની સુરક્ષામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સપેકટર જી.એમ.રાઠવા આજે બપોરે બે વાગ્યાના અરસામાં મંદિરમાં ફરજ બજાવી રહેલ હતા. ત્યારે એકાએક તેમને છાતીમાં દુ:ખાવો ઉપડતા સાથે રહેલા પોલીસકર્મીઓ તુરંત અઘિકારી રાઠવાને નજીકના પ્રભાસપાટણ સીએચસી કેન્દ્રમાં લઇ ગયેલ જયાંથી વઘુ સારવાર અર્થે વેરાવળની બિરલા હોસ્પીટલમાં ખસેડેલ હતા. જયાં તેમની સારવાર કારગર નિવડે તે પહેલા જ મૃત્યુ નિપજ્યું હતું. PIના નિધનના સમચાર મળતા જ પોલીસબેડામાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.પીઆઇ રાઠવા સોમનાથ સાંનિઘ્યે તેમના પત્ની સાથે રહેતા હતા જયારે તેમના બે સંતાનો તેમના વતન છોટાઉદયપુર ખાતે રહેતા હોવાનું જાણવા મળેલ છે. તેઓને દુ:ખદ ઘટનાની જાણ કરેલ અને તેઓની રાહ જોવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.
2018ના વર્ષના છેલ્લા મહિનાઓમાં ગીર સોમનાથમાં તેમની નિમણૂંક થતા ત્યારથી લઇ ત્રણેક વર્ષથી ફરજા બજાવી રહેલ હતા. જેમાં પ્રભાસપાટણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર તરીકે અઢી વર્ષ સુઘી ફરજ બજાવી હતી. જે સમયગાળામાં અનેક ગંભીર ગુનાઓનો ભેદ ઉકેલી ગુનાખોરી કાબુમાં રાખી હતી. બાદ છેલ્લા ચારેક માસથી સોમનાથ મંદિર સુરક્ષામાં ફરજ બજાવી રહેલ હતા. આમ, પોલીસમાં કોન્સ્ટેબલથી લઇ પોલીસ ઇન્સપેકટર સુઘીની ત્રણ દાયકાની સફર દરમિયાન જી.એમ. રાઠવાએ પડકારોનો સામનો પોતાની આગવીશૈલીની કામગીરી કરી હમેંશા નોંઘનીય ફરજ બજાવી પોલીસ પરિવારનું ગૌરવ વઘારેલ હતુ.