તેલંગણાના શ્રીસેલમ ખાતે આવેલા ટીએસ જેંકો પાવર પ્લાન્ટમાં ગુરુવારે રાતે આગ લાગી હતી. હાલ આ આગ લાગવા પાછળનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાઈ રહ્યું છે. 10 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાંથી 6 લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પ્લાન્ટની અંદર પણ હાલ 9 લોકો ફસાયેલા હોવાની શકયતા છે.
મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે કહ્યું છે કે આ ઘટનાનું હું સતત અપડેટ લઈ રહ્યો છું. મંત્રી જગદીશ્વર રેડ્ડી અને ટ્રાંસકો-જેંકો કંપનીના સીએમડી ડી પ્રભાકર રાવ સાથે વાત કરી છે. તેઓ બંને હાલ ઘટના સ્થળે છે.
આગ લાગ્યા બાદ પ્લાન્ટમાં ખૂબ ધુમાડો ભરાઈ ગયો છે. તેના કારણે બચાવ અભિયાનમાં મુશ્કેલી આવી રહી છે. આ ઘટનાના સમયે 17 લોકો હતા. જે લોકો હાલ અંદર ફસાયેલા છે, તેમાંથી 6 લોકો જેંકો અને 3 અન્ય પ્રાઈવેટ કંપનીના કર્મચારીઓ છે.
આપને જણાવી દઈએ કે, ફસાયેલા લોકોમાં ડેપ્યુટી અને આસિસ્ટન્ટ એન્જિનિયર્સનો પણ સમાવેશ થાય છે. મંત્રી જગદીશ્વર રેડ્ડી અને જેંકોના સીએમડી પ્રભાકર રાવે ઘટના સ્થળે પહોંચીને સ્થિતિની સમીક્ષા કરી હતી